એક જ મહિનામાં ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ: કોઠારી બાલમંદિર રોડના વેપારીઓએ જામાભાઈ ગરીયાને બિરદાવ્યા

તા.06/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના કોઠારી બાલમંદિર રોડ પર ચોમાસું આવે એટલે સ્થાનિકો અને વેપારીઓના જીવ અધ્ધર થઈ જતા. માત્ર એક-બે ઇંચ વરસાદ પડે ત્યાં તો આખોય રોડ બેટમાં ફેરવાઈ જતો. ચાર-ચાર, પાંચ-પાંચ દિવસ સુધી પાણી સુકાય નહીં; પરિણામે આસપાસની ત્રણ શાળાઓના માસુમ બાળકો, શિક્ષકો, વાલીઓ અને રોડ પરના વેપારીઓ ભારે હાલાકી ભોગવતા. વર્ષોથી ચાલતી આ સમસ્યા જાણે આ વિસ્તારની કાયમી નિયતિ બની ગઈ હતી. વેપારીઓની ધીરજ ખૂટતાં તેમણે આખરે આ ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે વોર્ડ નં. ૪ ના લોકપ્રિય કોર્પોરેટર જામાભાઈ ગરીયા સમક્ષ રજૂઆત કરી હતી જામાભાઈએ પણ પ્રજાની આ પીડાને પોતાની ગણી અને જરાય વિલંબ કર્યા વગર મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો તેમણે સતત ફોલોઅપ લઈને માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં નવી વરસાદી પાણીની ડ્રેનેજ (ગટર) લાઇનનું કામ પૂરજોશમાં પૂર્ણ કરાવ્યું હતું વર્ષો જૂની સમસ્યાનો ક્ષણવારમાં કાયમી ઉકેલ આવતા આખા વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો. આ ખુશીના પ્રતીક રૂપે સ્થાનિક વેપારીઓ અને રહીશો દ્વારા જામાભાઈ ગરીયાનો એક ભવ્ય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. ભાવભીનું સન્માન ઉપસ્થિત સૌ કોઈએ જામાભાઈને પુષ્પગુચ્છ અને હાર પહેરાવીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા, ઝડપી કામગીરી બદલ મહાનગરપાલિકાના અધિકારીઓ અને સમગ્ર સ્ટાફની પ્રશંસા કરી તેમનો પણ આભાર વ્યક્ત કરાયો. જામાભાઈ ભવિષ્યમાં પણ આમ જ લોકહિતના કાર્યો સતત કરતા રહે તેવી સૌએ અંતરના આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી. આ સન્માન સમારંભમાં રાજુભાઈ, શૈલેષભાઈ ભરવાડ, રાજુભાઈ સોની, રસિકભાઈ શેઠ, ફારુકભાઈ, બળદેવભાઈ સાહેબ, નિખિલભાઈ પટેલ સાહેબ, નિલેશભાઈ દવે (પ્રમુખ સ્ટેશનરી), ડેનિસભાઈ પટેલ (ઉમિયા સ્ટેશનરી), હીરાભાઈ (સી.પી. ઓઝા) તથા મનીષભાઈ સોની સહિત મોટી સંખ્યામાં સ્થાનિક વેપારી ભાઈઓ હાજર રહ્યા હતા. સૌ વેપારીઓએ એકસૂરે જામાભાઈ ગરીયાની પ્રજાલક્ષી કામગીરીને બિરદાવી તેમની લોકપ્રિયતા અને સમર્પણ ભાવનાને સલામ કરી હતી.





