હડાદ તાલુકામાં તિરંગા યાત્રાથી ગુંજી ઉઠ્યો દેશભક્તિનો માહોલ

12 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત હડાદ તાલુકામાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં રાષ્ટ્રધ્વજ અને હૃદયમાં દેશપ્રેમની ભાવના સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, સરકારી કર્મચારીઓ, પોલીસ જવાનો તેમજ વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને નાગરિકો યાત્રામાં જોડાયા હતા.હડાદ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને ભારત માતાની જયના નારાઓથી વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી ભરાઈ ગયું હતું. ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના નાદ સાથે સહભાગીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી આઝાદીના અમર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા. યાત્રાના પગલે સમગ્ર વિસ્તારમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પ્રસરી ગયો હતો.







