ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે છે, પરંતુ તેઓ કાયદો વ્યવસ્થા જાળવી શકતા નથી: ઈસુદાન ગઢવી
કોલકત્તાની ઘટના બાદ ગુજરાતમાં 20થી વધુ બળાત્કાર, હત્યા અને ગેંગરેપની ઘટનાઓ ઘટી: ઈસુદાન ગઢવી

કોલકાતાની ઘટના સમયે શિખામણ આપનાર આજે મૌની બાબા બની ગયા છે: ઈસુદાન ગઢવી
શું પોલીસ તંત્રને ફક્ત સરકારી કાર્યક્રમોમાં જ વ્યસ્ત રાખવાની છે કે પોલીસને પોતાનું કામ પણ કરવા દેવામાં આવશે?: ઈસુદાન ગઢવી
અમદાવાદ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના રાજકોટમાં ફરી એકવાર ફક્ત સાત વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના ઘટી. કલકત્તામાં જે ઘટના ઘટી હતી તેના કરતાં પણ વધુ ભયાનક ઘટના રાજકોટમાં ઘટી છે. એની પહેલા દાહોદમાં, સુરેન્દ્રનગરમાં, મહેસાણામાં, કચ્છમાં, આણંદ અને જસદણમાં પણ આવી ઘટનાઓ ઘટી હતી. ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે છે, પરંતુ તેઓ કાયદો વ્યવસ્થા જાળવી શકતા નથી. આજે ફક્ત સાત વર્ષની દીકરીઓ નરાધમોના હાથે પિંખાઈ રહી છે, ત્યારે ગૃહમંત્રી શું કરી રહ્યા છે?
શું પોલીસ તંત્રને ફક્ત સરકારી કાર્યક્રમોમાં જ વ્યસ્ત રાખવાની છે કે પોલીસને પોતાનું કામ પણ કરવા દેવામાં આવશે? શું પોલીસને ફક્ત વિપક્ષને અને આંદોલનને દબાવી નાખવા માટે જ ઉપયોગ કરવામાં આવશે? ગુજરાતના મુખ્યમંત્રી પણ મૌની બાબા બની ગયા છે. કલકત્તાની ઘટના સમયે ખૂબ જ શિખામણો આપવામાં આવતી હતી પરંતુ કલકત્તાની ઘટના બાદ ગુજરાતમાં 20 થી વધુ ઘટનાઓ ઘટી છે જેમાં બળાત્કાર, હત્યા અને ગેંગરેપ જેવી ઘટનાઓ ઘટી છે. પરંતુ હજુ પણ ગુજરાતના મૌની બાબાનું મૌન તૂટતું નથી. ગુજરાતમાં આ જે ઘટનાઓ ઘટી છે તેના માટે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ જવાબદારી લેવી જોઈએ.





