
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુર – રીંછવાડ બામણી તળાવ પાસે મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલાશે..? પોસ્ટમોર્ટમમાં ગળું દબાવી હત્યાનો ખુલાસો
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રીંછવાડ ગામે બામણી તળાવ નજીક રોડ પરથી મળી આવેલી યુવકની લાશના મામલે હવે હત્યાનો ગુનો નોંધાયો છે. પોસ્ટમોર્ટમના પ્રાથમિક અભિપ્રાયમાં ગળું દબાવવાથી શ્વાસ રૂંધાઈ જતાં મોત થયું હોવાનું સામે આવતા મૃતકના ભાઈએ અજાણ્યા શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. સાથે જ એક વ્યક્તિ પર શંકા વ્યક્ત કરી તેની તપાસ કરવાની માંગ કરી છે.ફરિયાદ મુજબ, ઝાલોદર (ટેડોરી ફળિયું) ગામના 30 વર્ષીય નરેશભાઈ મશુરભાઈ ખાંટ 25 જુલાઈની સાંજે મોસાડુંગરી ગામે રમણભાઈ સોમાભાઈ ખાંટનું મોટરસાયકલ પરત આપવા ગયા હતા. ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા નહોતા.બીજા દિવસે સવારે રીંછવાડ ગામે બામણી તળાવ નજીક રોડ પર નરેશભાઈની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં માલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
પોસ્ટમોર્ટમના પ્રાથમિક અભિપ્રાયમાં ગળું દબાવી શ્વાસ રૂંધાવવાના કારણે મોત થયાનું સામે આવ્યું હતું. મૃતકના શરીર અને માથાના ભાગે ઇજાના નિશાન તેમજ મોઢામાંથી લોહી નીકળતું હોવાનું પણ પરિવારજનોએ ફરિયાદમાં જણાવ્યું છે.મૃતકના ભાઈ વિજયભાઈ મશુરભાઈ ખાંટે ફરિયાદમાં જણાવ્યું છે કે, નરેશભાઈ છેલ્લે રમણભાઈ સોમાભાઈ ખાંટના ઘરે મોટરસાયકલ મૂકવા ગયા હતા અને તેઓ અગાઉ પણ ત્યાં રોકાતા હતા. આથી રમણભાઈ સોમાભાઈ ખાંટ પર તેમને શંકા હોવાને કારણે તેમની તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.





