GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પી.ડી.માલવિયા કોલેજ ખાતે ‘સંવિધાન હત્યા દિવસ’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

તા.૨૫/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટની પી.ડી.માલવિયા કોમર્સ કોલેજ ખાતે ‘સંવિધાન હત્યા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.

વર્ષ ૧૯૭૫માં ૨૫ જુને દેશમાં લદાયેલી કટોકટીના ૫૦ વર્ષ ૨૫ જૂન, ૨૦૨૫ના રોજ પૂર્ણ થવાના સંદર્ભે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવાના હેતુસર ‘સંવિધાન હત્યા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે મેયરશ્રી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને પી. ડી.માલવિયા કોલેજ ઓફ કોમર્સ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેયરશ્રી નયનાબેન પેઢડીયા તેમજ ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડે વિદ્યાર્થીઓને કટોકટી વિશે વિસ્તૃત સમજણ આપી દેશમાં સંવિધાનનું મહત્વ સમજાવ્યું હતું.

આ પ્રસંગે મેયરશ્રી નયનાબેન પેઢડીયાએ શાબ્દિક પ્રવચનમાં કટોકટીના કાળને યાદ કરતાં કહ્યું હતુ કે, ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી ઈન્દિરા ગાંધીએ દેશમાં આંતરિક અશાંતિનાં બહાને કટોકટી લગાવીને લોકશાહીની હત્યા કરી હતી. આ કટોકટીનો વિરોધ કરનાર દેશનાં ટોચના નેતાઓને જેલમાં પુરવામાં આવ્યા હતા. લોકશાહીને કચડી નાખતી આ કટોકટી ૨૧ મહિના સુધી અમલમાં રહી હતી, જેના પરિણામે ઘણા રાજનેતાઓ, વર્તમાનપત્રના તંત્રીઓ, વગેરેને જેલવાસ ભોગવવો પડયો હતો. આ દિવસને આજે ૫૦ વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે આપણે સહુ ભારતીય લોકશાહીનું મૂલ્ય સમજીએ અને તેના જતન માટે કટિબધ્ધ બનીએ.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડે કહ્યું હતુ કે, વર્ષ ૧૯૭૫ માં તત્કાલીન વડાપ્રધાનશ્રી ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લગાવી લોકશાહીની હત્યા કરી હતી અને કટોકટીનો વિરોધ કરનાર જનપ્રતિનિધિઓને જેલમાં નાખવામાં આવ્યા હતા. મીડિયા પર સેન્સરશિપ લગાવી દેવામા આવી હતી તથા સત્તા સામે અવાજ ઉઠાવનારને જેલમા પુર્યા હતા.

ધારાસભ્યશ્રીએ વધુમાં કહ્યું હતુ કે, ૧૮૫૭ સહિતની ક્રાંતિ બાદ દેશ ૧૯૪૭ માં આઝાદ થયો. આ આઝાદી માટે દેશનાં અનેક સપૂતોએ પોતાના પ્રાણોની આહૂતિ આપી હતી.

ભારત દુનિયાનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. આપણા બુધ્ધિશાળી વડવાઓએ દેશનાં નાગરિકોને શ્રેષ્ઠ બંધારણ સમર્પિત કર્યુ છે, તેનું આપણને સૌને ગૌરવ છે. આ દેશને અમૃત સમાન લોકશાહી મળી છે. આ લોકશાહીના મુલ્યોનું જતન થાય તે આપણા સૌની જવાબદારી છે. ૧૯૭૫ માં લગાવવામાં આવેલી કટોકટીથી લોકશાહીની હત્યા કરવામાં આવી હતી તેમ ધારાસભ્ય શ્રી એ વધુમાં ઉમેરી દેશનું આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ સમજાવ્યું હતું.

આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ તેમજ મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લાઇવ માધ્યમથી સાંભળ્યા હતા. તેમજ કટોકટી લોકશાહીનો કાળો અધ્યાય નાટક અને કટોકટી પરની ટૂંકી ફિલ્મ સૌએ નિહાળી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, કમિશ્નરશ્રી તુષાર સુમેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેષભાઈ દિહોરા, અગ્રણીઓ શ્રી ડો. માધવભાઈ દવે, શ્રી મનીષભાઈ રાડીયા, શ્રી લીલુબેન જાદવ, શ્રી અશ્વિનભાઈ મોલીયા, ટ્રસ્ટીશ્રી ઘનશ્યામભાઈ હેરભા, હિરેનભાઈ ખીમાણી તેમજ મયુરભાઈ ખીમાણી તથા કોલેજના પ્રિન્સિપાલ શ્રી કમલેશભાઈ જાની તેમજ કોલેજના સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!