GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ, રાજ્યમાં 900 શાળાઓ આચાર્ય વગરની !!!

રાજ્યના અનેક જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મોટી ઘટ જોવા મળી રહી છે. વિધાનસભા ગૃહમાં ઉઠેલા પ્રશ્નમાં આ માહિતી સામે આવી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સૌથી વધુ ખોટ પડી રહી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1266, જામનગર જિલ્લામાં 818 અને ગીર સોમનાથ જિલ્લામાં 211 શિક્ષકોની ઘટ છે.

રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, શિક્ષકોની ખાલી જગ્યાઓની સામે જ્ઞાન સહાયકોની ભરતી કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ હકીકત એ છે કે, જ્ઞાન સહાયકોની પણ યોગ્ય સંખ્યામાં ભરતી નથી કરાઈ. જામનગરમાં માત્ર 387 અને દેવભૂમિ દ્વારકામાં 122 જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે, જે આંકડો શિક્ષકોની ખાલી જગ્યાઓ કરતાં ઘણો ઓછો છે.

રાજ્યની શાળાઓમાં ન માત્ર શિક્ષકોની જ ઘટ છે, પરંતુ અનેક શાળાઓ એવી છે કે જેમાં આચાર્ય જ નથી. ગુજરાતની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યાઓનો આંકડો ચિંતાજનક છે. રાજ્યમાં 900 શાળાઓ એવી છે કે, જ્યાં આચાર્યોની નિમણૂક થઈ જ નથી.

વિધાનસભા ગૃહમાં ખુદ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આ ખાલી જગ્યાઓ અંગે સ્વીકાર કર્યો છે. પરંતુ સમસ્યાના નિરાકરણ અંગે સરકારી જવાબ આપ્યો હતો. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, ‘વર્ષ 2022-23માં 1526 અને વર્ષ 2023-24માં 470 આચાર્યોની નિમણૂક કરવામાં આવી હતી. હાલમાં ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે, શિક્ષણ વિભાગ ખાલી જગ્યાઓ ભરવા માટેના પ્રયાસ કરી રહ્યું છે.’ હાલ સ્થિતિ એવી છે કે અનેક શાળાઓમાં આચાર્યના અભાવમાં પ્રભારી આચાર્ય કાર્યભાર સંભાળી રહ્યા છે.

વિધાનસભા ગૃહમાં વિપક્ષના ધારાસભ્યોએ સવાલ કર્યો હતો કે, દર વર્ષે શિક્ષણ માટે કરોડોનું બજેટ ફાળવાય છે, છતાં વર્ષોથી શિક્ષકો અને આચાર્યોની જગ્યાઓ કેમ ખાલી છે? સાથે જ સરકારને ટકોર કરી હતી કે ભરતી અંગેની સરકારની ઉદાસિનતાના કારણે શિક્ષણની ગુણવત્તા પર માઠી અસર પડી રહી છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

Back to top button
error: Content is protected !!