એસ.એસ.સી. માં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના પરિણામે અનોખો વિક્રમ સર્જ્યો
9 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
એસ.એસ.સી. માં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના પરિણામે અનોખો વિક્રમ સર્જ્યો.99.93 PR (98%) મેળવનાર વિદ્યાર્થિની નિરાલી ભાણોતર પ્રવર્તમાન યુગમાં કેટલીક સંસ્થાઓ શિક્ષણના નામે વ્યાપાર કરી લાખો રૂપિયાની ફી વસૂલતી હોય છે. વિવિધ જગ્યાઓ ઉપર જાહેરાતના મોટા હોર્ડિંગ લગાવી અન્ય સ્કૂલોમાં આવેલ ટોપર વિદ્યાર્થીઓને પોતાની શાળામાં પ્રવેશ આપી પોતાના રોટલા શેકતી હોય છે. આ દેખા દેખીમાં કેટલાક વાલીઓ પણ પોતાના બાળકોને આવી સ્કૂલોમાં એડમિશન અપાવી પોતાના ખિસ્સા ખાલી કરતા હોય છે. તાજેતરમાં એસ.એસ.સી. -2024/25 નાં પરિણામે આવી શાળાઓની પોલ ખુલ્લી કરી હોય એવું દેખાઈ રહ્યું છે. એમાં પાલનપુર ખાતે મામૂલી ફી માં ઉત્તમ શિક્ષણ આપતી શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રી કે.કે.ગોઠી સ્વસ્તિક હાઇસ્કૂલે આ વખતે પણ દર વર્ષની જેમ ધો. 12 નાં પરિણામ ની સાથે ધો.10 નાં પરિણામે વિક્રમ સર્જ્યો છે. આ શાળા ખાતે અભ્યાસ કરતી નિરાલી ભાણોતરે 99.93 PR સાથે વિક્રમજનક પરિણામ મેળવ્યું છે. આ સાથે જય ગામી 99.87 PR, માહી સોલંકી 99.57 PR, નિરાલી ચૌધરી 99.48 PR, હેત્વી પટેલ 99.48 PR, રાહી નાઈ 99.35 PR, ખુશી જોશી 99.35 PR સહિત 47 થી વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. આ પ્રસંગે એક વાલીએ જણાવ્યું હતું કે – “મોંઘી ફી વગર પણ ફકત નજીવી ફી માં શિક્ષણ આપતી લેઉવા પાટીદાર સમાજની આ એકમાત્ર સ્કૂલ હજુ પણ ખુબજ આગળ વધે એવા અંતરના આશીર્વાદ આપીએ છીએ.” આ શાળામાં ધો.10 નાં કુલ 383 વિદ્યાર્થીઓમાંથી 378 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈ શાળાનું પરિણામ 98.71 % આવ્યું છે. શાળાના શિક્ષકોના વિશેષ માર્ગદર્શન, વિદ્યાર્થીઓની અથાગ મહેનત અને મંડળની દીર્ઘ દ્રષ્ટિ આ ઉત્તમ પરિણામ મેળવવા માટે સરાહનીય રહી છે. એસ.એસ.સી. માં અભૂતપૂર્વ પરિણામ મેળવવા બદલ મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ અને કારોબારી સદસ્યોએ તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક ગુરુજીઓને અભિનંદન પાઠવ્યા હતા.