
રિપોર્ટ : પૂજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુન્દ્રામાં ચાતુર્માસ માટે સાધુ ભગવંતોની જય બોલાઈ
મુદરા, તા. ૩ :
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી કલ્પતરુ મહારાજ સાહેબના દિવ્ય આશિષથી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી અનંત યશ સૂરિશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન, પંન્યાસ પ્રવર પરમ પૂજ્ય શ્રી અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબે આધોઈ ખાતે મુન્દ્રા ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય તપગચ્છ જૈન સંઘ માટે આગામી ચાતુર્માસની જય બોલાવી હતી.
આ ચાતુર્માસ માટે પરમ પૂજ્ય શ્રી મુક્તિ મનન વિજયજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય મુની શ્રી અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબની જય બોલાવવામાં આવી છે. આ પ્રસંગે મુંદરા તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સાધુ ભગવંતોની જય બોલાવવા બદલ સમગ્ર મુંદરા જૈન સમાજમાં ભારે આનંદની લાગણી વ્યાપી છે. ચાતુર્માસ પ્રસંગે મુંદરાવાસીઓએ લાપસીના આંધણ મુકી આનંદ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે તપગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા, મંત્રી પારસ ફોકડીયા, ઉપપ્રમુખ પપુભાઈ વોરા, ખજાનચી સાગર મહેતા, સહ-ખજાનચી વિમલ મહેતા, પંકજભાઈ શાહ તથા જૈન સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગાગોદર, અંજાર, ભચાઉ, આધોઈ, ભરૂડિયા વગેરે ગામોના જૈન શ્રાવકોએ પણ સાધુ-સાધ્વીજી ભગવંતોના દર્શન-વંદન કરી ધન્યતા અનુભવી હતી.
પરમ પૂજ્ય અનંત સિદ્ધ વિજયજી મહારાજ સાહેબના સંસારી શાહ દિનેશકુમાર મણિલાલ (માંડવી), મહેતા ધીરજલાલ મણિલાલ (ભુજ), ધિરજભાઈ મણિલાલભાઈ (માંડવી) તથા પરિવારજનો આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા. પ્રસંગે શાસનપ્રેમી માંડવીના દિનેશભાઈ મણિલાલભાઈએ ઉદબોધન કરી મુંદરા માટે મળેલી ચાતુર્માસની જય અંગે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ માહિતી મુંદરા તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાએ આપી હતી.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)




