વડોદરામાં દલિત વૃદ્ધના મોતનો મલાજો ન જળવાયો, સવર્ણોએ સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવા ન દીધા
વડોદરા: એક તરફ આઝાદીના 75 વર્ષ પુરા થવા પર દેશ અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તો બીજી તરફ છુઆછૂતની કલંક રૂપ માનસિકતા હજુ પણ દુર થઇ નથી. જેના પુરાવારૂપ કિસ્સો ગઈ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં બની હતી. ગામમાં રહેતા દલિત સમાજના 68 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થતા તેમના મૃતદેહને ગામના એકમાત્ર સ્મશાન લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ગામના સવર્ણોએ અંતિમસંસ્કાર કરવા દીધા ન હતા છે. 15 કલાક સુધી મૃતદેહ ત્યાં જ પડી રહ્યો, ત્યાર બાદ મોડી સાંજે સ્મશાનથી દૂર અંતિમસંસ્કાર કરવાની ફરજ પડી હતી.
દલિત સમાજ સાથે થયેલા અપમાનજનક વ્યવહારની બાબતે સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અંતિમસંસ્કાર કરવા ન દેનાર સરપંચ મહિલાના પતિ સહિત ગામના 13 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ, ગામેઠા ગામના 65 વર્ષીય કંચનભાઈ વણકરનું અવસાન થયું હતું. તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અંતિમયાત્રા ગામના એક માત્ર સ્મશાન પહોંચી ત્યારે સવર્ણોએ ડાઘુઓને અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દેવામાં આવી હતી. આમ અંતિમ સંસ્કાર કરવા ના દેતાં દલિત સમાજના લોકો રોષે ભરાયા હતાં. દલિત સમાજ અને સવર્ણ વર્ગના લોકો વચ્ચે વિવિદ સર્જાયો હતો. લગભગ 15 કલાક સુધી મૃતદેહ ત્યાં જ પડી રહ્યો હતો.
પોલીસે વચ્ચે પાડીને વાતચીત દ્વારા વિવાદ ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સવર્ણોએ ગામના સ્મશાનમાં દલિત સમાજની વ્યક્તિના અંતિમસંસ્કાર નહીં કરવા દેવા માટે અડગ રહ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે સ્મશાનથી દૂર ખુલ્લી જગ્યામાં દલિત સમાજના લોકોએ મૃતકના અંતિમ સંસ્કાર કર્યા હતાં. આ પછી દલિત સમાજના લોકોએ વડુ પોલીસ સ્ટેશનમાં 13 લોકો સામે ફરિયાદ પણ કરી છે.
ગ્રામજનોમાં અપમાન જનક વયવહારને કારણે દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આજે દલિત સમાજના અગ્રણીઓ મૃતકના પરિવાર અને સમાજના લોકો સાથે પાદરા તાલુકાના પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. લોકો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગામના મહિલા સરપંચના પતિ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી હતી.