


ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના માલપુર ગામમાં ગટર લાઇન ચોકઅપ થવાને કારણે ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગંદા પાણીમાંથી ઉઠતી દુર્ગંધથી આસપાસના લોકો ત્રસ્ત બન્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓએ અનેક વખત સરપંચ અને ગ્રામ પંચાયત સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
સ્થાનિકોનું કહેવું છે કે ગંદકીના કારણે મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગો ફેલાવાનો ભય ઉભો થયો છે. ગ્રામજનોએ તાત્કાલિક ગટર વ્યવસ્થાનું સમારકામ કરી સમસ્યાનો કાયમી નિકાલ લાવવાની માંગ કરી છે.
ગામમાં જો ગંદકી અને ગટર સમસ્યાના કારણે કોઈ રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.
ગામલોકોની માંગ છે કે ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી ગામને ગંદકી અને દુર્ગંધમાંથી મુક્ત કરે.




