વલસાડ દક્ષિણ વિજ કંપનીના ડુંગરી સબડિવિઝનમાં ૨૭ ગામોમાં માત્ર ૨ સ્ટાફ: વીજ ફોલ્ટ થતાં લોકો ત્રાહિમામ….

વાત્સલ્યમ સમાચાર
વલસાડ

વલસાડ જિલ્લાના ડુંગરી વીજ સબડિવિઝનમાં આવતાં ૨૭ જેટલા ગામોમાં વીજ પુરવઠાની ગંભીર સમસ્યા સામે આવી છે, જ્યાં રાત્રિના સમયે માત્ર બે જ કર્મચારીઓની ફરજ હોવાના કારણે સામાન્ય જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે.
આ ગંભીર મુદ્દે તીઘરા ગામના સમાજ સેવક મુકેશભાઈ પટેલની આગેવાની હેઠળ ગ્રામજનોએ આદિવાસી સમાજના જિલ્લા પ્રમુખ ડો. નિરવભાઈ પટેલને રજૂઆત કરી હતી. ત્યારબાદ ડો. નિરવભાઈ પટેલે વલસાડ જિલ્લાના દક્ષિણ ગુજરાત વીજ વિભાગના અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે રાત્રિના સમયે વીજ ફોલ્ટ સર્જાય ત્યારે કલાકો સુધી લાઈટ બંધ રહે છે, છતાં પૂરતો સ્ટાફ ન હોવાથી સમયસર મરામત કાર્ય થતું નથી. ઘણીવાર તો સવાર સુધી પણ સમસ્યા યથાવત રહે છે, જે લોકો માટે અસહ્ય બની ગયું છે.
હાલ ઉનાળાની તીવ્ર ગરમીમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન બની જાય છે. ઘરમાં વીજળી ન હોવાને કારણે મચ્છરોનો ત્રાસ, ઉકળાટભર્યો માહોલ અને ઊંઘ ન આવવાની સ્થિતિ સર્જાય છે. નાના બાળકો, વૃદ્ધો અને દર્દીઓ માટે તો આ પરિસ્થિતિ ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે આવી બેદરકારી આગળ જઈને વધુ વિકરાળ બની શકે તેવી ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે.મુકેશભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “૨૭ ગામો માટે માત્ર બે કર્મચારીઓ રાખવું એ તંત્રની બેદરકારી છે. આ સીધી રીતે ગ્રામજનોના હક્કો સાથેનો અન્યાય છે. દક્ષિણ ગુજરાત વીજ વિભાગના અધિકારીઓની આ બેદરકારી હવે માત્ર ખામી નહીં, પણ લોકોના મૂળભૂત હક્કોનું ઉલ્લંઘન બની ગઈ છે. જો તંત્ર તાત્કાલિક સ્ટાફમાં વધારો કરીને સુવિધા સુધારે નહીં, તો આ મુદ્દે લોકઆંદોલન ઉગ્ર બનવાની શક્યતા નકારી શકાય નહીં.




