GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂર્ણ ઉજવણી: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

યુવા પેઢીને વિભાજનની વેદનાથી અવગત કરવા ડોક્યુમેન્ટ્રીનું નિદર્શન તથા કેન્ડલ માર્ચ યોજી બલિદાન આપનારાઓને અંજલિ અપાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પથી અખંડ ભારતની કલ્પનાને સાકાર કરવા કટિબદ્ધ બનીએ: પ્રભારી મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા.

ગાંધીધામ,તા-૧૫ ઓગસ્ટ : ભારતના વિભાજનની કરુણ હકીકતો, બલિદાનોની સ્મૃતિ અને ખાસ કરીને યુવા પેઢીમાં રાષ્ટ્રચેતના જગાડવાના ઉદ્દેશથી ગાંધીધામ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે વિશેષ સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્ડલ શાંતિ માર્ચ અને ડોક્યુમેન્ટ્રી પ્રદર્શન દ્વારા વિભાજન સમયે બલિદાન આપનારા નાગરિકોને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી.કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને ગાંધીધામ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અગ્રવાલ ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ મનાવવાનું નક્કી કરાયું છે. તેનો મુખ્ય હેતુ આવનારી પેઢી વિભાજન પીડિતોની સ્મૃતિઓને કાયમ યાદ રાખે, દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના મજબૂત બને અને નવી પેઢી ઉજ્જવળ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થાય તે છે. તેમણે સૌને અપીલ કરી હતી કે, આપણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ થકી અખંડ ભારતની કલ્પનાને સાકાર કરવા કટિબદ્ધ બનીએ.દેશને ‘વિશ્વગુરુ’ બનાવવાનું વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન સાકાર કરવા યુવાનોને ગેરમાર્ગે દોરાયા વિના દેશના વિકાસમાં સહયોગી બનવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. તેમણે વિશેષમાં ઉમેર્યું હતું કે, વિભાજન સમયે અને તે બાદ પણ અનેક શરણાર્થીઓને કચ્છ અને મોરબી સહિતના વિસ્તારોમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. આ પીડિતો આજે પોતાના પરિશ્રમથી સુખરૂપ જીવન વ્યતીત કરી રહ્યા છે અને દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, આઝાદી મળવાની સાથે દેશે વિભાજનની જે પીડા સહન કરી હતી, તે સંઘર્ષ અને કરુણ સ્મૃતિઓને યાદ કરવાનો આ દિવસ છે. ખાસ કરીને નવી પેઢી આઝાદીનું સાચું મૂલ્ય સમજે તે માટે આજના દિવસની ઉજવણી અત્યંત પ્રસ્તુત છે.કાર્યક્રમના વક્તાશ્રી અશ્વિની બેન્કર્સે સ્વાતંત્ર્ય વીરોના બલિદાન, વિભાજનનો સંઘર્ષ અને વિસ્થાપિતોના પુનઃસ્થાપનમાં કચ્છના રાજવી પરિવારની ભૂમિકાને યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિભાજન સમયે અહીં સ્થાયી થયેલા સાહસિકોની મહેનતથી જ આજે ગાંધીધામ શહેર અને કંડલા પોર્ટ દેશભરમાં અગ્રેસર બન્યા છે. યુવાઓને રાષ્ટ્રવાદ સાથે દેશના વિકાસમાં સહભાગી બનવા તેમણે હાકલ કરી હતી.કાર્યક્રમ દરમિયાન દેશની એકતા અને અખંડિતતાનું મહત્વ સમજાવતી તથા વિભાજનની યાતનાઓને ઉજાગર કરતી વિશેષ ડોક્યુમેન્ટ્રી દર્શાવવામાં આવી હતી. ભાગલા સમયે ગાંધીધામ ખાતે પુનઃસ્થાપિત થયેલા પીડિત પરિવારોએ પોતાની સંઘર્ષગાથા અને પીડા વર્ણવી હતી. કાર્યક્રમના અંતે અગ્રવાલ ભવનથી ઝંડા ચોક સુધી કેન્ડલ શાંતિ માર્ચ યોજવામાં આવી હતી. મ ઝંડા ચોક ખાતે બે મિનિટનું મૌન પાળીને શહીદ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.આ સ્મૃતિ કાર્યક્રમમાં કચ્છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, ગાંધીધામના મેયરશ્રી દિવ્યાબેન નાથાણી, કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, મ્યુનિસિપલ કમિશનરશ્રી બી.ડી. દેવેરા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી, ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી અને હિતેશભાઈ ખંડોર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!