વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા નજીકનાં વિસ્તારમાં અંધશ્રદ્ધાને કારણે હેરાનગતિનો ભોગ બનેલી એક વિધવા મહિલાને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસર મદદ પૂરી પાડી હતી. મહિલાને પડોશી દ્વારા “ડાકણ”, “ભૂતાડી” અને “વિધવા” કહીને હેરાન કરતા મહિલાએ 181 પર કોલ કરીને મદદ માંગી હતી.આ પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં જાણ કરી હતી કે તેમના પાડોશી બહેન વારંવાર તેમને “ભૂતાડી – ડાકણ” કહીને હેરાન કરતા હતા અને કહેતા હતા કે “તું તો વિધવાબેન છે, તારા પગલા જો મારા ત્યાં પડે તો બધું તહસ નહસ થઈ જાય, માટે તારે મારા ત્યાં આવવાનું નહીં.” આ ઉપરાંત, પાડોશી એવા પણ આક્ષેપો કરતા હતા કે રાતના સમયે પંખો ચાલુ કરતા તેમાંથી પીડિત મહિલાનો અવાજ આવે છે અને તેમને ખરાબ શબ્દો બોલીને, કાળું ધોળું કરાવીને તેમની હાલત બગાડી છે.એમ કહી માનસિક ત્રાસ આપી રહી હતી. જેથી મહિલાએ કંટાળીને 181 પર કોલ કરતા 181 ટીમના કાઉન્સિલર નેહા મકવાણા અને જીઆરડી રમીલાબેન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.તેમણે પીડિત મહિલા સાથે વાતચીત કરીને સમસ્યાની વિગતવાર જાણકારી મેળવી હતી.ત્યારબાદ, તેમણે આક્ષેપો લગાવી રહેલ પાડોશી બહેન અને તેમના પતિનું અસરકારક કાઉન્સિલિંગ કર્યું હતું.181 ટીમે તેમને કાયદાકીય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યુ હતુ. અને સમજાવ્યું હતું કે “ડાકણ” જેવુ કંઈ હોતુ નથી અને આવા શબ્દોનો ઉપયોગ કરવો કાયદાકીય ગુનો છે, જેના માટે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.અહી ટીમે નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી અને પીડિત મહિલાની સંમતિથી એક સાદી અરજી પણ અપાવી હતી. અહી 181 અભયમ ટીમની સમયસર અને અસરકારક કામગીરીને કારણે પીડિત મહિલાને ન્યાય મળ્યો અને અંધશ્રદ્ધાનો ભોગ બનતા અટકી ગયા હતા.ત્યારે વિધવા મહિલાએ 181 અભયમ ટીમની કામગીરીને બિરદાવી હતી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો..