Rajkot: રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગ-૧ (વિશેષ)નો પ્રારંભ
તા.૯/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવમાંથી આવેલા ૧૫૫ સ્વયંસેવકો ૨૦ દિવસ સુધી પ્રશિક્ષણ મેળવશે… રાજકોટના વર્ગમાં માન. સર કાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબોલે ૯મી મેના રોજ આવશે
Rajkot: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્ર કક્ષાના કાર્યકર્તા વિકાસ વર્ગ-૧ (વિશેષ)નો ૭મી મેથી રાજકોટ ખાતે પ્રારંભ થયો છે. જે ૨૭મી મે સુધી ચાલશે. આ વર્ગમાં ગુજરાત, મહાષ્ટ્ર, ગોવાના છ પ્રાંત એટલે કે સૌરાષ્ટ્ર, ગુજરાત, દેવગીરી, કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર તથા વિદર્ભ પ્રાંતમાંથી ૪૦ વર્ષથી ૬૫ વર્ષની આયુના ૧૫૨ સ્વયંસેવકો પ્રશિક્ષણ મેળવશે. વર્ગમાં ૨૦ શિક્ષકો પ્રશિક્ષણ અને ૪૦ પ્રબંધકો વર્ગની અન્ય વ્યવસ્થાઓ સંભાળશે.
રાજકોટમાં ધોળકીયા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે તા.૭મી મેના રોજ રાતે પશ્ચિમ ક્ષેત્રના માન. ક્ષેત્ર સંઘચાલકજી ડૉ.જયંતીભાઈ ભાડેસિયા, ક્ષેત્રના વ્યવસ્થા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, મહેસાણા વિભાગના માન. સંઘચાલકજી અને પ્રશિક્ષણ વર્ગના સર્વાધિકારી ડૉ. નવીનભાઈ પ્રજાપતિએ દીપ પ્રાગ્ટય કરીને ઔપચારિક રીતે વર્ગનો પ્રારંભ કરાવ્યો હતો.
આ અવસરે શ્રી હસમુખભાઈ પટેલે ઉપસ્થિત શિક્ષાર્થીઓને સંબોધન કરતા સંઘની વર્ગ અને પ્રશિક્ષણની યોજના સમજાવતા કહ્યું કે, પ્રશિક્ષિત કાર્યકર્તાઓની ક્ષમતાનો લાભ સમાજને મળે તે દિશામાં અગ્રેસર થવા કાર્યકર્તાઓએ તૈયાર થવાનું છે
રાજકોટ ખાતેના પ્રશિક્ષણ વર્ગમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં સમાજ જાગરણના વિવિધ વિષયો જેવા કે, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, ગૌ સેવા, સેવા, સંપર્ક, પ્રચાર, વગેરે વિષયોનું પ્રશિક્ષણ કરવામાં આવશે.
મહત્વનું છે કે, દેશભરમાં યોજાતા બધા કાર્યકર્તા વિકાસ વર્ગોમાં સંઘના માન. સરસંઘચાલકજી અથવા માન. સરકાર્યવાહજી પ્રવાસ કરીને માર્ગદર્શન કરતા હોય છે. રાજકોટના વર્ગમાં માન. સર કાર્યવાહ શ્રી દત્તાત્રેય હોસબોલે ૯મી મેના રોજ આવશે અને ૧૨મી મે સુધી ઉપસ્થિત રહેશે. તેઓ બૌદ્ધિક સત્ર, સંવાદ સત્ર ઉપરાંત શિક્ષાર્થીઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરીને માર્ગદર્શન આપશે. ઉપરાંત શિક્ષકો, પ્રબંધકો, સાથે બેઠક યોજશે. આ પ્રવાસ માત્ર વર્ગ અને પ્રશિક્ષણને કેન્દ્રમાં રાખીને રહેશે. તેઓનો અન્ય કોઈ જાહેર કાર્યક્રમ, મુલાકાતો વગેરે રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વર્ષ ૨૦૨૨માં હરિદ્વારમાં બેઠક મળી હતી. જેમાં નવી પ્રશિક્ષણ પદ્ધતિ અંગે ચિંતન થયું હતું. અગાઉ પ્રાથમિક વર્ગ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય એ રીતે સ્વયંસેવકોનું પ્રશિક્ષણ થતું હતું. પરંતુ વર્ષ ૨૦૨૪થી પ્રારંભિક વર્ગ-૨ દિવસ, પ્રાથમિક વર્ગ-૭ દિવસ, સંઘ શિક્ષા વર્ગ-૨૦ દિવસ, કાર્યકર્તા વિકાસ વર્ગ-૧ ૨૦ દિવસ તથા કાર્યકર્તા વિકાસ વર્ગ-૨ ૩૦ દિવસ એમ પ્રશિક્ષણ વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે નોંધનીય છે, મે માસમાં સંઘના પ્રશિક્ષણ વર્ગો દેશભરમાં ચાલે છે. જેમાં સ્વયંસેવકો આરાધના, સાધના, તપના ભાવથી જોડાય છે. આ સ્વયંસેવકો ધંધા-વ્યવસાય, નોકરી વગેરમાંથી રજા લઈને ૨૦-૩૦ દિવસ સુધી વર્ગમાં જોડાય છે. આ દરમિયાન તેઓ પરિવારથી દૂર પૂર્ણ સમય વર્ગમાં રહે છે, જ્યાં મોબાઈલ પણ સાથે નથી રાખી શકાતો. સવારે ૪.૩૦ વાગ્યે જાગરણથી લઈને રાતે ૧૦.૧૫ સુધી દીપ નિમિલન સુધીના વિવિધ શારીરિક કાર્યક્રમો, બૌદ્ધિક, ચર્ચાસત્ર, સંવાદ, સામુહિક પ્રશિક્ષણ વર્ગમાં તેઓ અનુશાસનબદ્ધ રીતે જોડાય છે.
રાજકોટ મહાનગરના સંઘપ્રેમી નાગરિકો દ્વારા બપોરના ભોજન માટે માધુકરી યોજના થકી રોટલીની વ્યવસ્થા કરવામાં આવી છે.