એસ. એસ. પી.એ. હાઈસ્કૂલ, નિરોણા મધ્યે ”નારી વંદન ઉત્સવ” અંતર્ગત ‘મહિલા કલ્યાણ દિવસની ‘ ઉજવણી કરવામાં આવી.
કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરતી યોજનાઓ ,ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર અને વિશ્વ હેન્ડલુમ દિવસ અંગે માહિતી આપવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૦૮ ઓગસ્ટ : એસ.એસ.પી.એ હાઈસ્કૂલ નિરોણા મધ્યે નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘મહિલા કલ્યાણ દિવસની’ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી સફળતા સાથે આત્મનિર્ભર બને તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી અને ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક કલાકારો જશોદાબેન આહિર, મંજુબેન આહિર, પ્રેમીલાબેન આહિર, પી.એચ.સી માંથી પધારેલ મહિલા હેલ્થ વર્કર રમીલાબેન ગાગલ તેમજ આંગણવાડી વર્કર આશાબેન નાખુઆનું પુષ્પગુચ્છથી શાળાની શિક્ષિકા બહેનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી દ્વારા શાબ્દિક આવકાર અને પ્રસંગોચિત ઉદબોધન આપવામાં આવ્યું હતું. જેમાં સાહેબશ્રી દ્વારા એ બાબત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો કે એક સશક્ત મહિલા માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. તેથી દરેક દીકરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ, સમાન તક અને સુરક્ષિત વાતાવરણ મળવું ખૂબ જરૂરી છે.ત્યારબાદ શાળાના શિક્ષિકા અલ્પાબેન ગોસ્વામી દ્વારા કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરતી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી , ભૂમિબેન વોરા દ્વારા બહેનો માટે થતા આઈ.ટી.આઈ કોર્સ તેમજ આઈ.ટી.આઈ કોલેજ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ બી. એડ. તાલીમાર્થી દીપભાઈ ચૌધરી દ્વારા વિશ્વ હેન્ડલુમ દિવસ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.શાળામાં ધોરણ 9 થી 12 માં પ્રથમ નંબર મેળવી ઉચ્ચ શિક્ષણ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીનીઓ અનુક્રમે કુંભાર રુકસાના, આહિર હેતલ, ભાનુશાલી વંશી તેમજ સોરા ખતુબાઈનું શાળા પરિવાર દ્વારા મેડલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.ગામમાંથી પધારેલ સ્થાનિક કલાકાર જશોદાબેન આહીર દ્વારા તેમના વક્તવ્યમાં જણાવવામાં આવ્યું કે ભરતગૂંથણ માત્ર એક કલા જ નથી, પરંતુ મહિલાઓ માટે સ્વરોજગાર અને આત્મનિર્ભર બનવાનું એક મહત્વપૂર્ણ સાધન પણ છે. આ કળા દ્વારા અનેક મહિલાઓ ઘરેથી કામ કરીને પોતાની આવક વધારી રહી છે અને પોતાના પરિવારને આર્થિક રીતે સહયોગ આપી રહી છે.સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીનીઓ માટે ખૂબ જ માહિતીસભર, પ્રેરણાદાયી અને ઉપયોગી રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક્રિષ્નાબેન ગોર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ શાળાના શિક્ષિકા શ્રીમતી આશાબેન પટેલે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવાર જહેમત ઉઠાવી હતી.







