વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પંચાયત હસ્તકના તમામ બ્રિજ ઉપર માર્ગ ચિહ્નો, સાફસફાઇ સાથે બ્રીજોના ઇન્સપેકશનની કામગીરી પુર્ણ કરાઇ
રાજ્યના પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લગતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી કામગીરીએ ડાંગ જિલ્લામા પણ ગતિ પકડી છે. આ કામગીરીના ભાગરૂપે ડાંગ જિલ્લાના પંચાયત તથા રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના તમામ માર્ગો તેમજ બ્રિજ નિરીક્ષણની કામગીરી હાથ ધરવામા આવી છે.ડાંગ જિલ્લાના પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના મુખ્ય પુલો સહિત નાના પુલો ઉપરની અવરજવર સુગમ અને બને, અને વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે હેતુસર વિશિષ્ટ જાળવણી કાર્યો હાથ ધરવામા આવ્યા છે. જે અંતર્ગત પુલના પારાપેટ પર રંગરોગન, પુલના અભિગમ માર્ગો (Approach) પર સફાઈ, પુલ આસપાસના ઝાડઝાંખર અને વનસ્પતિ દૂર કરવાની કામગીરી, રોડ ફર્નિચર – signage, reflectors, railing વગેરેની જાળવણી, માર્ગ ચિહ્નો (road markings) દોરવાની કામગીરી વિગેરે કામગીરી હાથ ધરવામા આવી છે.
મુખ્યત્વે આ કામગીરી મેજર બ્રિજ જેવા કે બંધપાડા બ્રિજ, મોટીકસાડ બ્રિજ, સુંદા બ્રિજ, દાવદહાડ બ્રિજ, બુરથડી બ્રિજ, સતી બ્રિજ તેમજ માઈનર બ્રિજ જેમા હારપાડા બ્રિજ, પીપલપાડા બ્રિજ, શેપુઆંબા-મોટી ઝાડદર બ્રિજ, આહિરપાડા-ઝરી-વાડીયાવન રોડ બ્રિજ, ટાંકલીપાડા-લહાનદબાસ-મોટી દબાસ રોડ બ્રિજ, શિંગાણા-ધુલ્ધા રોડ બ્રિજ, શિંગાણા-જોગબારી રોડ બ્રિજ, અને વડપાડા-ચીચપાડા-સાદડવિહીર બ્રિજ ઉપર કામગીરી કરવામા આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ તમામ મેજર અને માઇનર બ્રિજ ઉપર લાયકાત ધરાવનાર સ્ટાફ તેમજ સાધનોના સહયોગથી તમામ કાર્ય સુરક્ષિત રીતે પુર્ણ કરાયા છે. આ સાથે જ પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર તેમજ સેકશન ઓફિસર દ્વારા પણ તમામ બ્રીજોના ઇન્સપેકશન કરી લગત તમામ કામગીરી પુર્ણ કરવામા આવી છે.