
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં એક મોટરસાયકલ પર ત્રણ અજાણ્યા ઈસમોએ વ્યારાના વેપારીની ગાડી ઉભી રખાવી હતી.અને ગાડીમાં રહેલ વેપારીના 6.70 લાખ રૂપિયાની લુંટ ચલાવી હતી.જે બાદ ત્રણેય ઈસમો લુંટ ચલાવી મોટરસાયકલ પર બેસી નાસી છૂટયા હતા.ત્યારે આ પ્રકારની લૂંટના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.અને ડાંગ જિલ્લાની પોલીસ પણ દોડતી નજરે પડી હતી.તાપી જિલ્લાનાં વ્યારા ખાતે રહેતા મહેશભાઈ શાંતિરામ ભાઈ ચિત્તે ડુંગળી તથા શાકભાજીનો વ્યાપાર કરે છે.અને ડુંગળી મહારાષ્ટ્રનાં નીફાડ(નાશીક), પીંપળનેર( પુર્વ) તથા નવાપુર થી ખરીદી કરી વ્યારા ખાતે હોલસેલમાં વેચાણ-વેપાર કરતા હોય ત્યારે મહેશભાઈ ડુંગળીની ખરીદી પણ કરવાનાં હોવાથી નિફાડ (નાશીક) જવા માટે નીકળ્યા હતા.તેઓ પોતાનાં કામથી વ્યારા,ઉનાઈ, વાંસદા, વઘઇથી સાપુતારા શામગહાન ત્રણ રસ્તાથી માલેગાવ ચેકપોસ્ટની વચ્ચે ઘાટ વિસ્તારમાં પોતાના કબજાની ઇકોસ્પોર્ટ ગાડી.ન.જી.જે.05.જે.એફ.7100 ને લઇને સવારના મળસ્કે આશરે 4 થી 05 વાગ્યાનાં અરસામાં પહોંચ્યા હતા. જ્યાં ઢાળવાળો રસ્તો હોવાથી ગાડીની સ્પીડ આશરે 30 કિ.મી.ની આસપાસ હતી.તે વેળાએ ગાડીની પાછળથી ગાડીના સાઇડ ગ્લાસ પર લાઈટનો પ્રકાશ આવતો હતો અને એક કાળા કલરની સ્પ્લેન્ડર મોટર સાયકલ આ વેપારીની ગાડીથી થોડે આગળ જઈ લાકડીનો ઇશારો કરીને વેપારીની ગાડી ઉભી રખાવી હતી.અને મોટર સાયકલ ઉપરથી બે માણસો સામેથી ચાલીને વેપારીની ગાડી પાસે આવેલા અને એક વ્યકિત સ્પ્લેન્ડર ગાડી ઉપર બેસી રહેલ અને વેપારીની ગાડી પાસે આવેલ બંન્ને વ્યકિતઓમાંથી એક વ્યકિત ડ્રાઇવર સાઇડે આવીને દરવાજો ખોલાવ્યો હતો.ડ્રાયવર સાઈટે સીટનાં નીચે મુકેલ બેગમાં રહેલ રોકડા રૂ. 6,70,00/- ની બેગ લુંટીને નાસી છૂટયા હતા.આ ત્રણેય અજાણ્યા ઈસમો 6.70 લાખની રકમ લૂંટી મોટરસાયકલ પર બેસી વઘઇ તરફ નાસી છૂટયા હતા.જે બાદ વેપારીએ લૂંટ થયા અંગેની જાણ ડાંગ જિલ્લાની પોલીસને કરતા ડાંગ જિલ્લાની પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી.અને તપાસ હાથ ધરી હતી.હાલમાં આ વ્યપારીએ સાપુતારા પોલીસ મથકે લૂંટ અંગેની ફરિયાદ નોંધાવી હતી.ત્યારે ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ હાલમાં સાપુતારા પોલીસની ટીમ દ્વારા આ ત્રણેય અજાણ્યા ઇસમોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે..





