5 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા AAPના નેતા આતિશીની તબિયત બગડી, હૉસ્પિટલ લઇ જવાયા
દિલ્હીના જલ મંત્રી આતિશીની તબિયત બગડતા તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભૂખ હડતાળથી પાંચમા દિવસે આતિશીની તબિયત ખરાબ થઇ હતી. આતિશી છેલ્લા ચાર દિવસથી અનિશ્ચિતકાળ ભૂખ હડતાળ પર છે અને તેમનો દાવો છે કે હરિયાણા દિલ્હીના ભાગનું પાણી છોડી રહ્યું નથી. આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે આતિશીનું બ્લડ શુગર લેવલ અડધી રાત્રે ઘટી ગયુ હતુ અને 43 પર આવી ગયુ હતુ અને મોડી રાત્રે 3.00 વાગ્યે 36 સુધી પહોંચી ગયું હતું. બ્લડ શુગરમાં આ સ્તરનો ઘટાડો ચિંતાજનક છે માટે તેમને ડૉક્ટરની સલાહ પર હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં આતિશીને સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સથી હૉસ્પિટલ લઇ જવામાં આવી રહ્યાં છે.
આતિશીએ કહ્યું કે દિલ્હીનું તમામ પાણી પાડોશી રાજ્યમાંથી આવે છે. એવામાં હરિયાણાની ભાજપ સરકારે દિલ્હીના ભાગનું 100 MGD પાણી રોકી દીધુ છે. દિલ્હીના 28 લાખથી વધુ લોકો પાણીની કમીથી પરેશાન છે માટે આતિશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે હસ્તક્ષેપની માંગ કરી છે.