‘જે કોઈ હિન્દુસ્તાન પર ખરાબ નજર નાખશે, ભારતના દરેક મુસ્લિમનું લોહી પહેલા વહેશે.’ : ભારતના મુસ્લિમો
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સામે સમગ્ર દેશમાં આક્રોશ છે. શુક્રવારે દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદના પગથિયાં પરથી પાકિસ્તાનને જોરદાર જવાબ આપવામાં આવ્યો. શુક્રવારની નમાજ પછી અનેક મુસ્લિમોએ આતંકવાદ સામે અવાજ ઉઠાવતા કહ્યું કે, પાકિસ્તાન ભારતીય મુસ્લિમોનો પણ દુશ્મન છે. જામા મસ્જિદમાંથી કહેવામાં આવ્યું હતું કે, ‘જે કોઈ હિન્દુસ્તાન પર ખરાબ નજર નાખશે, ભારતના દરેક મુસ્લિમનું લોહી પહેલા વહેશે.’ અમે અમારા ભારત દેશમાં આતંકવાદને ખીલવા દઈશું નહીં. સરકારે શક્ય તેટલી વહેલી તકે કડક નિર્ણયો લેવા જોઈએ. કઠિન નિર્ણયો લો એમાં અમે તમારી સાથે છીએ.આતંકીઓ સામે કડક પગલાં લેશો તો જ દેશમાં શાંતિ આવશે. આતંકવાદીઓ સામે લડનારા અને જીવ બચાવનારા કાશ્મીરના ભાઈઓને પણ સલામ. અમારા સંવેદનાઓ એ 26 પરિવારો સાથે છે જેમના બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો.
શુક્રવારે દિલ્હીની જામા મસ્જિદમાં પણ ભારે ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો હતો. અનેક મુસ્લિમોએ ત્રિરંગો લહેરાવી અને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ ના પોસ્ટરો પકડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ દેશભરમાં વિરોધ દર્શાવાઈ રહ્યો છે. આજે જુમ્માની નમાજ બાદ લખનૌની આસિફી મસ્જિદમાં શુક્રવારની નમાજ પછી પાકિસ્તાની ધ્વજ સળગાવવામાં આવ્યો હતો અને ‘આતંકવાદ મુર્દાબાદ’ ના નારા લગાવવામાં આવ્યા હતા. મૌલાના કલબે જવાદે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પાકિસ્તાન અને ઇઝરાયલને આતંકવાદી દેશો જાહેર કરવા જોઈએ.
લખનૌના ઐશબાગ ઈદગાહના ઇમામ મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહાલીએ તમામ ઇમામોને શુક્રવારની નમાજ દરમિયાન મૃતકો માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે. ઇમામ ખાલિદ રશીદ ફરંગી મહાલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં બનેલી આતંકવાદી ઘટનાએ સમગ્ર દેશના લોકોને હચમચાવી દીધા છે. આ ઘટનાથી દરેક વ્યક્તિ દુઃખી છે. જેમના પરિવારના સભ્યો આ હુમલાનો ભોગ બન્યા છે તેઓ વધુ દુઃખી છે. ઘાયલ થયેલા લોકોના પરિવારો પણ મુશ્કેલીમાં છે. અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે, આ ઘટનાને અંજામ આપનારા ગુનેગારોને વહેલી તકે ઝડપી કઠોર સજા આપવામાં આવે જેથી ભવિષ્યમાં બીજા કોઈ આવા કૃત્યો ના કરે.
ખાલિદ રશીદ ફરંગી મહાલીએ કહ્યું કે, હું તમામ ઇમામો અને હઝરતોને અપીલ કરું છું કે, શુક્રવારની નમાજ પછી આ ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે શાંતિ માટે પ્રાર્થના કરે. અમે આપણા દેશને તમામ પ્રકારના આતંકવાદથી બચાવવા અને આ હુમલાનો ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ માટે પ્રાર્થના કરીએ છીએ. ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવા માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આજે જુમ્માની નમાજ બાદ કરેલી દુઆ અલ્લાહ સ્વીકારે છે.