NATIONAL

અબજોપતિ ઈલોન મસ્કે ભારતની ઘટતી વસ્તીના આંકડા પર ઘેરી ચિંતા વ્યક્ત કરી

ભારતમાં ઘટી રહેલા પ્રજનન દરને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા શરૂ થઈ ગઈ છે. દુનિયાના અબજોપતિ ઈલોન મસ્કે ભારતની ઘટતી વસ્તીના આંકડા પર ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મીડિયા સંસ્થાના આંકડાઓનો હવાલો આપતા કહ્યુ છે કે ભારતમાં જન્મ દર હવે વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી ‘રિપ્લેસમેન્ટ લેવલ’ કરતાં પણ નીચે આવી ગયો છે.

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આંકડા અનુસાર ભારતના ઇતિહાસમાં પહેલીવાર પ્રજનન દર આટલી ઝડપથી નીચે આવ્યો છે. માત્ર એક જ દાયકામાં દેશનો કુલ પ્રજનન દર 2.3 થી ઘટીને 1.9 પર આવી ગયો છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે રાજધાની દિલ્હીનો પ્રજનન દર હવે ઘટીને માત્ર 1.2 રહી ગયો છે, જે યુરોપના ફિનલેન્ડ દેશ કરતાં પણ ઓછો છે. મસ્કે ઉમેર્યું કે શિક્ષિત વર્ગમાં તો આ દર ઘણો સમય પહેલાં જ નીચે જતો રહ્યો હતો.

આ અહેવાલમાં ‘ધ ઇકોનોમિસ્ટ’ માં 4 જૂનના પ્રકાશિત થયેલા એક લેખનો સંદર્ભ આપવામાં આવ્યો છે, જેનું શીર્ષક હતું- ‘ભારતની વસ્તી ટૂંક સમયમાં જ ખૂબ ઝડપથી ઘટવા લાગશે’. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ (UNFPA) ના રિપોર્ટ અનુસાર ભારતમાં કુલ પ્રજનન દર પ્રતિ મહિલા 1.9 જન્મ સુધી ઘટી ગયો છે. વસ્તીને સ્થિર રાખવા માટે આ દર 2.1 હોવો જરૂરી છે, જેને વસ્તી વિજ્ઞાનની ભાષામાં રિપ્લેસમેન્ટ રેટ કહેવાય છે. તેનો સીધો અર્થ એ છે કે સરેરાશ ભારતીય મહિલાઓ હવે એટલી સંખ્યામાં બાળકોને જન્મ નથી આપી રહી, જે એક પેઢીથી બીજી પેઢી સુધી વસ્તીનું કદ જાળવી રાખવા માટે પૂરતું હોય.

નિષ્ણાતોના મતે વસ્તીનો આ ઘટતો ગ્રાફ ભવિષ્ય માટે ખતરનાક સંકેત છે. જો આ સ્થિતિ રહી તો આગામી સમયમાં ભારતમાં યુવાનોની સંખ્યા ઓછી થઈ જશે અને વૃદ્ધોની વસ્તી નોંધપાત્ર રીતે વધી જશે. આવી સ્થિતિમાં દેશના આર્થિક વિકાસ પર માઠી અસર પડશે.

 

 

Back to top button
error: Content is protected !!