‘નાના કર્મચારીને બલિનો બકરો ન બનાવો, અસલી ગુનેગારને પકડો’ : સુપ્રીમ કોર્ટ

મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી NEET-UG પરીક્ષાના પેપર લીક કેસે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ સંવેદનશીલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન અદાલતે ફરી એકવાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્ર સરકારના કાન ખેંચ્યા છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે પરીક્ષા પ્રણાલીમાં ગમે તેટલા મોટા ફેરફારો કરવામાં આવે, પણ જ્યાં સુધી આ આખી બેદરકારી અને લીક પ્રક્રિયા પાછળ છુપાયેલા અસલી માસ્ટરમાઇન્ડ કે મુખ્ય જવાબદાર વ્યક્તિની ઓળખ કરીને તેને સજા આપવામાં નહીં આવે, ત્યાં સુધી તમામ સુધારા નકામા સાબિત થશે.
ચીફ જસ્ટિસની બેંચે કેન્દ્ર સરકારને આ મામલે એક વિસ્તૃત અને નવું સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યો છે. આ સોગંદનામામાં માનવ સંસાધન મંત્રાલયે કોર્ટને વિગતવાર બ્લુપ્રિન્ટ આપવી પડશે કે આગામી સમયમાં યોજાનારી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓને કેવી રીતે સંપૂર્ણપણે સુરક્ષિત, પારદર્શક અને ન્યાયી બનાવી શકાશે.
સુનાવણી દરમિયાન દેશના કરોડો વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાઓ પર મલમ લગાવતા સુપ્રીમ કોર્ટે એક મોટો ભરોસો આપ્યો હતો. કોર્ટે ભાવુક અને મક્કમ લહેજામાં દેશને આશ્વાસન આપતા કહ્યું કે, “આ કોઈ એવી સમસ્યા નથી જેનો ઉકેલ ન લાવી શકાય. આ સમગ્ર મામલો દેશના યુવા ધનના ભવિષ્ય અને તેમના સપનાઓ સાથે જોડાયેલો છે. અમે દેશની પરીક્ષા પદ્ધતિમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, ભ્રષ્ટાચાર કે છેતરપિંડીને ક્યારેય સહન નહીં કરીએ. કોઈ પણ કિંમતે દેશના યુવાનોના મનોબળને તૂટવા દેવામાં નહીં આવે.”
શુક્રવારે યોજાયેલી સુનાવણીમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની પીઠે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) ની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. કોર્ટે પૂછ્યું કે જ્યારે પરીક્ષા માટે આટલી બધી કડક સુરક્ષા અને મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી હતી, તો પછી આટલી મોટી ચૂક કેવી રીતે થઈ ગઈ? સુનાવણી દરમિયાન પૂર્વ ઇસરો અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિ અને સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. કોર્ટે ડૉ. રાધાકૃષ્ણનની ભૂમિકા સામે પણ સવાલ ઉઠાવતા તીખી ટિપ્પણી કરી કે, તેઓ પહેલા હાઈ-પાવર કમિટીમાં હતા અને બાદમાં મોનિટરિંગ કમિટીમાં આવ્યા, તો પછી ગ્રાઉન્ડ લેવલ પર વાસ્તવિક દેખરેખ કેટલી રાખવામાં આવી? જો આટલી કડક વ્યવસ્થા હોવા છતાં આ સિસ્ટમ ફેલ થઈ છે, તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે તમારી મોનિટરિંગ પ્રોસેસમાં જ કોઈ મોટું ગાબડું કે ગંભીર ખામી રહી ગઈ છે.
અદાલતના તીખા સવાલોનો સામનો કરતા સમિતિના અધ્યક્ષ ડૉ. રાધાકૃષ્ણનને સ્વીકારવું પડ્યું હતું કે, મુખ્ય ખામી પ્રશ્નપત્ર (ક્વેશ્ચન પેપર) તૈયાર કરવાની ગુપ્ત પ્રક્રિયામાં જ હતી. જો કે, તેમણે કોર્ટને ખાતરી આપી હતી કે હવે આ પ્રક્રિયાને અભૂતપૂર્વ રીતે મજબૂત અને હાઈટેક સેક્યોરિટીથી સજ્જ કરવામાં આવી રહી છે. તેમણે માહિતી આપી કે સમિતિએ દેશની પરીક્ષા પ્રણાલી અને વહીવટને સુધારવા માટે કુલ 101 ભલામણો સરકારને સોંપી છે. જેમાંથી 60 જેટલી ટૂંકા ગાળાની (Short-term) ભલામણોને ચાલુ શૈક્ષણિક સત્ર એટલે કે વર્ષ 2025-26 થી જ લાગુ કરવામાં આવી રહી છે. કમિટીએ કોર્ટને વિશ્વાસ અપાવ્યો હતો કે આગામી 21 June ના રોજ યોજાનારી પુનઃપરીક્ષામાં (Re-exam) આ પ્રકારની કોઈ જ ગેરરીતિ કે ચૂક જોવા મળશે નહીં.
સુપ્રીમ કોર્ટે વહીવટીતંત્રને બેટૂક શબ્દોમાં સંભળાવી દીધું કે, વારંવાર નવી સમિતિઓની રચના કરવાથી કે મોટી બેઠકો યોજવાથી ત્યાં સુધી કોઈ ફાયદો નહીં થાય જ્યાં સુધી ઉચ્ચ સ્તરીય અધિકારીઓની સીધી જવાબદારી નક્કી કરવામાં નહીં આવે. કોર્ટે કડક લહેજામાં કહ્યું, કોઈ એક નાના કે નીચલા સ્તરના કર્મચારીને બલિનો બકરો બનાવીને મુખ્ય વહીવટકર્તાઓ પોતાની ખામીઓ અને પાપોને છુપાવી શકે નહીં. જ્યાં સુધી ટોચના અધિકારીઓની જવાબદારી નક્કી નહીં થાય, ત્યાં સુધી આ સંસ્થાગત ખામીઓ વારંવાર દેશ સામે આવતી રહેશે.
સમિતિએ અદાલત સમક્ષ એ પણ સ્વીકાર્યું કે પરીક્ષા પ્રણાલીમાં ડોમેન નિષ્ણાતોની ભારે અછત હતી, જેને દૂર કરવા માટે હવે IIT-JEE અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના અત્યંત અનુભવી નિષ્ણાતોને આ સમગ્ર પ્રક્રિયા સાથે જોડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે કોર્ટને ભરોસો આપ્યો છે કે આ મામલે ઉચ્ચ સ્તરેથી સીધી નજર રાખવામાં આવી રહી છે. કોર્ટે અંતમાં ભાર પૂર્વક જણાવ્યું કે હવે અસ્થાયી સુરક્ષા પગલાં ભરવાને બદલે દેશની આ સૌથી મોટી પરીક્ષા પ્રણાલીમાં કાયમી અને મજબૂત સંસ્થાગત સુધારાની જરૂર છે.





