“હું હજુ પણ જીવિત છું; જો મને ખાતરી મળે, તો હું આજે જ ભૂખ હડતાળ પાછી ખેંચી લઈશ,”:સોનમ વાંગચુક

શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને વિદ્યાર્થીઓના હકો માટે છેલ્લા 25 દિવસથી વધુ સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક સાહેબે કેન્દ્ર સરકારને એક મહત્વપૂર્ણ પત્ર લખ્યો છે. તેમણે સરકાર સમક્ષ શરત મૂકી છે કે જો કેન્દ્ર સરકાર આંદોલનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરવાનું સત્તાવાર આશ્વાસન આપે, તો તેઓ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી દેશે.
ઉલ્લેખનીય છે કે, સતત ત્રણ સપ્તાહ સુધી જંતર-મંતર પર ભૂખ હડતાળ કર્યા બાદ શનિવારે પોલીસે તેમને ત્યાંથી હટાવી દીધા હતા. તેમ છતાં તેમણે પોતાનો અનશન છોડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને તેઓ આજે 25મા દિવસે પણ ભૂખ હડતાળ પર અડગ રહ્યા છે.
સોનમ વાંગચુક સાહેબે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહને લખેલા પત્રમાં વિનંતી કરી છે કે સરકાર આંદોલનકારી યુવાનોના ભવિષ્યની રક્ષા કરે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, હું કેન્દ્ર સરકારને નમ્ર નિવેદન કરું છું કે તે સ્પષ્ટ ખાતરી આપે કે આંદોલનમાં ભાગ લેનારા કોઈપણ યુવાન પ્રદર્શનકારી સામે કોઈ દંડાત્મક, અન્યાયી કે બદલાની ભાવનાથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ વિદ્યાર્થીઓનો માત્ર એક જ ‘અપરાધ’ છે કે તેઓ દેશમાં એક નિષ્પક્ષ અને જવાબદાર શિક્ષણ પ્રણાલી માટે અવાજ ઉઠાવી રહ્યા છે.
પોતાના પત્રમાં આગળ ઉલ્લેખ કરતા વાંગચુક સાહેબે જણાવ્યું હતું કે 20 જુલાઈ 2026 ના રોજ યોજાયેલી ‘ચલો સંસદ યાત્રા’ દરમિયાન પોલીસ દ્વારા અત્યાચાર અને અતિશય બળપ્રયોગ કરવામાં આવ્યો હોવા છતાં, વિદ્યાર્થીઓએ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ વર્તન રાખ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આખા દેશ અને દુનિયાએ વિદ્યાર્થીઓની ધીરજ અને લોકશાહી વિરોધ પ્રદર્શન પ્રત્યેનો તેમનો અગાધ ઉત્સાહ જોયો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે દેશની લોકશાહી સંસ્થાઓમાં યુવાનોનો આ વિશ્વાસ કેસો નોંધવા, પજવણી કરવા કે બદલાની કાર્યવાહી કરવાથી નબળો નહીં પડે.
સોનમ વાંગચુકે ખુલાસો કર્યો કે આ સમયગાળા દરમિયાન તેણે ૧૧ કિલોગ્રામ વજન ઘટાડ્યું છે.
ABHI BHI ZINDA HUN…. DAY 25 pic.twitter.com/SnwKXMfvOO
— Sonam Wangchuk (@Wangchuk66) July 22, 2026



