ભવિષ્યમાં કોઇ પણ આતંકવાદી કાર્યવાહીને ભારત વિરૂદ્ધ યુદ્ધ કાર્યવાહી માનવામાં આવશે. : ભારત સરકાર
પાકિસ્તાનના નિષ્ફળ હુમલાના પ્રયાસો વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય કર્યો છે. ભારત સરકાર તરફથી પાકિસ્તાનને સ્પષ્ટ મેસેજ આપતા કહેવામાં આવ્યું કે જો ભારતમાં કોઇ પણ આતંકી હુમલો થાય છે તો તેને યુદ્ધ માનવામાં આવશે. સરકારના સૂત્રોએ જણાવ્યું કે ભવિષ્યમાં કોઇ પણ આતંકવાદી કાર્યવાહીને ભારત વિરૂદ્ધ યુદ્ધ કાર્યવાહી માનવામાં આવશે. આ સાથે જ આવી કોઇ પણ કાર્યવાહીનો તેના હિસાબથી જ જવાબ આપવામાં આવશે.
ભારતીય સેનાએ જણાવ્યું હતું કે તેણે ડ્રોન, લાંબા અંતરના શસ્ત્રો અને લડાકુ વિમાનોનો ઉપયોગ કરીને પશ્ચિમી સરહદ પર અન્ય વિસ્તારો અને લશ્કરી માળખાને નિશાન બનાવીને ખતરો ઊભી કરવાની પાકિસ્તાનની ઉશ્કેરણીજનક કાર્યવાહીને અસરકારક રીતે નિષ્ફળ બનાવી દીધી છે. ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં પોતાના સૈનિકો ખસેડી રહ્યું છે જે પરિસ્થિતિને વધુ ખરાબ કરવાના “આક્રમક ઇરાદા” દર્શાવે છે. સેનાએ વધુમાં જણાવ્યું હતું કે તે સંપૂર્ણ ઓપરેશનલ તૈયારીમાં છે.
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, “પાકિસ્તાની સેના પશ્ચિમી સરહદો પર સતત હુમલા કરી રહી છે. તેણે ભારતીય સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવા માટે ડ્રોન,લાંબા અંતરના શસ્ત્રો, લડાયક શસ્ત્રો અને ફાઇટર જેટનો ઉપયોગ કર્યો છે. ભારતે અનેક ખતરાઓને નિષ્ફળ કર્યા હતા.પાકિસ્તાને 26થી વધુ સ્થળોએ ડ્રોન દ્વારા હુમલા કર્યા હતા. પાકિસ્તાને ભૂજ,ઉદ્યમપુર, પઠાણકોટ, ભટિંડામાં વાયુસેનાના મથકો પર આપણા સાધનો અને કર્મચારીઓને નુકસાન પહોંચાડ્યું છે. પંજાબમાં વાયુસેનાના બેઝને નિશાન બનાવવા માટે રાત્રે 1.40 વાગ્યે હાઇસ્પીડ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો, તેમણે આરોગ્ય સુવિધાઓ અને સ્કૂલો પર પણ હુમલો કર્યો છે.”