સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની 30 દિવસમાં દેશનિકાલ પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ
સુપ્રીમ કોર્ટે ભારતમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની અનિશ્ચિત સમય માટે અટકાયત પર સવાલ ઊઠાવ્યા છે. કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી બાંગ્લાદેશીઓ પરત મોકલવાને બદલે સમગ્ર ભારતમાં સુધાર ગૃહોમાં લાંબા ગાળાની અટકાયતમાં રાખવા અંગે જવાબ માંગ્યો હતો. ન્યાયાધીશ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘જ્યારે કોઈ ગેરકાયદે બાંગ્લાદેશી સ્થળાંતર કરનારને વિદેશી અધિનિયમ 1946 હેઠળ પકડવામાં આવે છે અને દોષિત ઠેરવવામાં આવે છે, ત્યારે તેને તેની સજા પૂર્ણ થયા પછી તરત જ દેશનિકાલ કરવામાં આવે.’
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, વિદેશી અધિનિયમ હેઠળ સજા પૂર્ણ કર્યા પછી હાલમાં કેટલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને વિવિધ સુધાર ગૃહોમાં અટકાયતમાં રાખવામાં આવ્યા છે?’ સુપ્રીમ કોર્ટે લગભગ 850 ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની અનિશ્ચિત સમય માટે અટકાયત પર ચિંતા વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે 2009ના પરિપત્રના કલમ 2(v)નું પાલન કરવામાં સરકારની નિષ્ફળતા પર પ્રશ્ન ઉઠાવ્યો, જેમાં 30 દિવસમાં દેશનિકાલ પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કેન્દ્ર તરફથી નક્કર સ્પષ્ટતા કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો કે આવા કેસોનો સામનો કરવા માટે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી કયા પગલાંની અપેક્ષા છે.
માજા દારૂવાલા વિરુદ્ધ ભારત સંઘનો કેસ વર્ષ 2013માં કોલકાતા હાઇકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. આ કેસ વર્ષ 2011 માં શરૂ થયો હતો જ્યારે એક અરજદારે ગેરકાયદે બાંગ્લાદેશી સ્થળાંતર કરનારાઓની દુર્દશા પર પ્રકાશ પાડ્યો હતો જેમને તેમની સજા પૂર્ણ થયા પછી પણ પશ્ચિમ બંગાળ સુધારણા ગૃહમાં કેદ રાખવામાં આવ્યા હતા. આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં ખસેડવામાં આવે તે પહેલાં કોલકાતા હાઈકોર્ટે આ મુદ્દા પર સ્વતઃ નોંધ લીધી હતી. આ કેસની આગામી સુનાવણી છઠ્ઠી ફેબ્રુઆરીએ થશે.