જ્યારે આપણે સમજ્યા-વિચાર્યા વગર કેટલાક નિર્ણયો લઈ લઈએ છીએ જે માટે પાછળથી ઘણો પસ્તાવો થાય છે. પતિ-પત્નીના સંબંધમાં ટકરાવ આવે અથવા બંને એકબીજાને સમજી ન શકે ત્યારે બંનેમાંથી એક વ્યક્તિએ બીજાને તેની જાતને સમજવા અને પરખવા થોડો સમય આપવો જોઈએ જેથી સંબંધો વચ્ચેની તાણ દૂર થઈ જાય છે.
માનવી એક સામાજિક પ્રાણી છે અને ઉન્નતિ માટે તેને સમાજની જરૂર પડે છે અને આ સમાજ એટલે માનવીઓનો એક મસમોટો મેળો. આમ માનવી નામનું બુદ્ધિમાન અને શક્તિશાળી પ્રાણી સમાજના સંબંધોમાં ગૂંચવાયું છે. વિવિધ પ્રકારના સંબંધો તેને જીવવાની પ્રેરણા પૂરી પાડે છે. અને તેના વિકાસમાં આ સંબંધો પણ ઘણા મહત્ત્વના સાબિત થાય છે. માનવીના સંબંધો લાગણીઓના તંતુઓ સાથે જોડાયેલા છે. આમાંથી એક તંતુ પણ તૂટી જાય તો જીવન બેસૂરું બની જાય છે.
જોવા જઈએ તો શિશુ માતાના ગર્ભમાં પ્રવેશે છે ત્યારથી જ તે લાગણીઓના બંધનમાં બંધાઈ જાય છે. ધીરે ધીરે આ બંધન એટલા મજબૂત થઈ જાય છે કે માતા સાથે જોડાયેલી ગર્ભનાળ કાપી નાખ્યા પછી પણ તૂટતા નથી બલ્કે સંબંધોની જાળ વધુને વધુ વિસ્તરતી જાય છે. આ સંબંધોમાં માતા-પિતા, ભાઈ, બહેન, અંગત સગાવહાલા મિત્રો, પત્ની, સંતાનો જેવા અલગ અલગ સંબંધોનો સમાવેશ થાય છે. સંબંધો વિના જીવન અપૂર્ણ છે. આ સંબંધો આપણા અસ્તિત્વ અને ઓળખ માટે મહત્ત્વના છે. આપણી સાથે લોહીના સંબંધથી જોડાયેલા લોકોનું દુ:ખ આપણને રડાવી જાય છે તો તેમનું સુખ આપણા આનંદમાં વધારો કરે છે અને આપણી આંખોને હર્ષના અશ્રુઓથી ભીની કરી દે છે. આ સંબંધોમાંનો એક સંબંધ લોહીનો નથી પરંતુ આ સર્વ સંબંધોમાં મહત્ત્વનો સંબંધ છે. આ સંબંધ છે પતિ-પત્નીનો. પતિ-પત્ની એકબીજા સાથે લોહીની સગાઈથી જોડાયેલા નથી. તેમની સગાઈ લાગણીઓ અને પ્રેમના બંધનથી જકડાયેલી છે. પતિ-પત્નીનો નાતો અતૂટ માનવામાં આવે છે. લગ્નરૂપી બેડી બે અજાણી વ્યક્તિઓને એકબીજા સાથે પ્રેમની કડીથી સાંકળી લે છે. તેઓ જિંદગીભર એકબીજાનો સાથ નિભાવે છે. અને સુખ-દુ:ખમાં એકબીજાની પડખે ઊભા રહે છે. પત્નીની જેમ મિત્ર સાથે પણ લોહીની સગાઈ હોતી નથી. મૈત્રી લાગણીના સેતુઓ સાથે જોડાયેલી છે. આપણો સાચો મિત્ર સુખ-દુ:ખમાં સાથ છોડતો નથી. તેમજ આપણી ખોટી પ્રશંસા પણ કરતો નથી. લગ્ન પછી પત્ની પણ આવા જ મિત્રની ગરજ સારે છે. પત્નીના પ્રેમમાં મિત્રનો સંબંધ ભળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય છે અને જિંદગીમાં વસંતનું આગમન થાય છે.
જોકે આજે ભૌતિકવાદની બોલબાલી છે. ભૌતિક સુખના આ જમાનામાં મૈત્રી અને પ્રેમ તકલાદી બની ગયો છે. સુખને સમયે ટોળે મળેલા મિત્રો અને સંબંધીઓ દુ:ખ આવતા જ સાથ છોડીને પલાયન થઈ જાય છે. સંબંધોમાં રહેલી મીઠાશ અલોપ થઈ ગઈ છે. લોકોના શબ્દકોશમાંથી સહિષ્ણુતા અને માફી કે પસ્તાવો જેવા શબ્દો અલોપ થઈ ગયા છે. પતિ-પત્નીના સંબંધમાં પણ સ્વાર્થ, અવિશ્વાસ, વિશ્વાસઘાત જેવી વસ્તુઓનું વર્ચસ્વ વધી ગયું છે. ફેમિલિ કોર્ટમાં છૂટાછેડા માટે આવતા કેસો જોઈ એક વાતનો ખ્યાલ આવી જાય છે કે પતિ કે પત્ની કોઈ બાબતે સમાધાન કરવા તૈયાર નથી. બંનેમાં સહનશીલતાનો અભાવ છે. પડયું પાનું નિભાવી લેવા તેઓ તૈયાર નથી. જીવનમાં કોઈ પણ સમસ્યા એવી નથી જેનું નિરાકરણ મુશ્કેલ છે. પરંતુ આજની પેઢીમાં ધીરજ નથી. આજના ઇન્સ્ટન્ટ જમાનામાં તેમને તેમની સમસ્યાનું પરિણામ પણ ઝટપટ જોઈએ છે. નાની-નાની સમસ્યાઓ અને નાદાનિયતને કારણે સંબંધો એક ક્ષણમાં તૂટી જાય છે. સંબંધો બાંધવામાં જેટલો સમય લાગે છે. એનાથી પા ભાગનો સમય પણ સંબંધ તોડતા લાગતો નથી. હકીકતમાં તો પતિ-પત્ની એકબીજાને સમજવાનો પ્રયાસ જ કરતા નથી. એકબીજાના ગુણો જોવાને બદલે અવગુણો જોવામાંથી તેઓ ઊંચા આવતા નથી. પતિ-પત્નીના સંબંધમાં અહમ્, સમજણ શક્તિનો અભાવ, અદેખાઈ, લાપરવાહી, ચડસાચડસી જેવી વસ્તુઓનો ટકરાવ થાય તો સંબંધ કાચા દોરાની જેમ તૂટી જાય છે. પરંતુ પતિ-પત્ની વચ્ચેની દોસ્તી મજબૂત હોય અને બંનેમાં સમાધાન કરવાની વૃત્તિ હોય તો તેમના સંબંધને આંચ આવતી નથી. આગમાં તપીને સોનું થઈને નીકળે છે એ જ પ્રમાણે મુસીબતોનો એક સાથે સામનો કરી તેમાંથી સાંગોપાગ બહાર ઉતારનાર પતિ-પત્નીનો સંબંધ પણ વધુ મજબૂત બને છે.
પ્રેમ લગ્ન હોય કે માતા-પિતાએ ગોઠવેલા લગ્ન હોય, લગ્ન જીવનની નિષ્ફળતા માટે આપણે પોતે જ જવાબદાર છીએ. તાળી એક હાથે પડતી નથી. તાળી પાડવા માટે બે હાથ જવાબદાર હોય છે એ જ પ્રમાણે લગ્ન જીવનની નિષ્ફળતા માટે બંને પક્ષ જવાબદાર છે અને કેટલીકવાર બાહ્ય પરિબળો, અન્ય સગા-સંબંધીઓ પણ સંબંધ તોડવા પાછળ જવાબદાર હોય છે. પ્રેમલગ્નમાં આપણે આપણી પસંદગી જાતે જ કરીએ છીએ. પરંતુ લગ્ન પછી થોડા જ દિવસોમાં જ પ્રેમ પાછલી બારીએથી ઉડણ છૂ થઈ જાય છે. અને ઘર ગૃહસ્થી ડગમગવા લાગે છે. અને સાત જનમનાં બંધન એક જનમ તો ઠીક સાત મહિના પણ ટકી શકતા નથી. છૂટાછેડા પાછળ પાત્રની પસંદગીને દોષ આપવામાં આવે છે. એક સમયે અતિ પ્રિય એવું પાત્ર એકદમ અકારું કેમ બની જાય છે? આ સમયે પ્યાર સાથે સાથે મિત્ર જેવો વ્યવહાર, મિત્રતાપૂર્ણ વિચાર બંનેમાં હોય તો સંબંધ તૂટવાનું કોઈ કારણ નથી. કારણ કે, તે સમયે આપણે એકબીજાની ભાવનાઓની કદર કરીએ છીએ. આપણા આવા વર્તનથી સામેના પાત્રને ઠેસ પહોંચશે, એનો અહ્મ ઘવાશે, તેને ખરાબ લાગશે એવો વિચારો આપણા મનમાં ઉત્પન્ન થાય છે. આમ એક બીજા પ્રત્યેનું માન-સન્માન વધી જાય છે. અને સંબંધોનો સેતું વધુ મજબૂત થઈ જાય છે.
રસના અને પ્રદીપના પ્રેમ-વિવાહ હતા. રસના ગર્ભ શ્રીમંત કુટુંબની એકની એક કન્યા હતી. જ્યારે પ્રદીપ મધ્યમવર્ગનો હતો. લગ્ન પછી મારે કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડશે એ રસના સારી રીતે જાણતી હતી. અને તેણે પોતાની જાતને એ માટે તૈયાર પણ કરી દીધી હતી. પતિનો અહમ ન ઘવાય એ માટે તેણે તેની કારકિર્દી પણ છોડી દીધી એક સમયે પત્રકાર બનવા થનગનતી રસનાએ પતિને કારણે એ કારકિર્દી છોડી આસપાસના લોકોને ટયુશન આપવા માંડયા. એક ભવ્ય ફલેટમાંથી તે નાનકડા ફલેટમાં આવી પહોંચી તેના સગાવહાલાં તેના ઘરમાં આવતા ત્યારે ”તું આવા ઘરમાં કઈ રીતે રહી શકે છે?” એવો તેને પ્રશ્ન પૂછતા. પરંતુ આ મારું ઘર છે અને તમારે અહીં આવવું હોય તો આવો અને તમને આ ઘર પસંદ ન પડે તો તમે અહીં નહીં આવો તો તેનો પણ મને વાંધો નથી.” એમ કહી રસના તેના સગાવહાલા અને મિત્રોના મોઢા બંધ કરી દેતી. તેની બધીજ બહેનપણીઓ અને પિત્રાઈ બહેનો ગર્ભ શ્રીમંત ઘરમાં પરણી હતી. પણ રસનાએ ક્યારે પણ તેના પતિ પર કોઈ પણ પ્રકારનું દબાણ કર્યું નહોતું. તેના લગ્ન થયા ત્યારે તેનો પતિ રૂ. ૩૦૦૦ કમાતો હતો પણ તે તેનાથી ખુશ હતી. અધૂરામાં પૂરું તે સાસુ-સસરાને અને નણંદોનો જુલમ પણ સહન કરતી હતી. આ બધી મુશ્કેલીઓમાં પણ તેણે તેના પતિનો સાથ છોડયો નથી. આજે રસનાએ પોતાના જીવન સાથે સમાધાન કરી લીધું છે. પતિ-પત્ની વચ્ચેની મૈત્રી અને પ્રેમ વધુ મજબૂત બન્યા છે. પરંતુ આજે સમાજમાં રસના અને પ્રદીપ જેવા યુગલો કેટલા? એ પ્રશ્ન વિચાર માંગી લે એવો છે એમ નથી લાગતું? વેલ, રસના અને પ્રદીપ જે કરી શક્યા તે બીજા દંપતિઓ કેમ કરી ન શકે?
પતિ-પત્નીને પોતાના ચરણોની દાસી પોતાનાથી ઉતરતી ગણવાને બદલે પોતાની બરાબર સમજે તો મુસીબતોનો મોટો પહાડ પણ એક કીડી સમાન હળવો ફૂલ જેવો બની જાય છે. પતિ-પત્નીના સંબંધના પાયામાં જ પ્રેમ અને દોસ્તીનો નિ:સ્વાર્થ સંબંધ હશે તો આ સગાઈ કોઈપણ તોડી શકે તેમ નથી.
જીવનમાં એવી પણ ક્ષણો આવે છે જ્યારે આપણે સમજ્યા-વિચાર્યા વગર કેટલાક નિર્ણયો લઈ લઈએ છીએ જે માટે પાછળથી ઘણો પસ્તાવો થાય છે. પતિ-પત્નીના સંબંધમાં ટકરાવ આવે અથવા બંને એકબીજાને સમજી ન શકે ત્યારે બંનેમાંથી એક વ્યક્તિએ બીજાને તેની જાતને સમજવા અને પરખવા થોડો સમય આપવો જોઈએ જેથી સંબંધો વચ્ચેની તાણ દૂર થઈ જાય છે. આપણે આપણા બીજા સંબંધોમાં સમાધાન કરવા તૈયાર હોઈએ છીએ તો પછી પતિ-પત્નીના સંબંધમાં આમ કેમ ન થઈ શકે?
પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા પ્યાર, નિ:સ્વાર્થ, વૃત્તિ, પોતિકાપણું, એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના, સેવા ભાવ મિત્રતા જેવી વૃત્તિઓ જેટલી વધુ મળશે એટલા જ સંબંધો વધુ મીઠા અને મધુર બનશે. જેને કોઈ પણ પરિબળ અલગ કરી શકશે નહીં.
– નયના
«
Prev
1
/
6
Next
»
શિક્ષણ ધામને બનાવ્યો વેપાર:બોરસદની સરસ્વતી ખાનગી સ્કૂલના શિક્ષક અને વાલીનો ફી અંગે ઓડિયો થયો વાઇરલ
નડિયાદ માં થયેલ ૩ મોત સંદર્ભે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા
ખેડા જિલ્લામાં નકલી ચલની નોટો છાપવાનું કૌભાંડનો પડદફાર્શ