સવપુરા-ગણેશપૂરા રોડ પર બાવળોનું સામ્રાજ્ય, વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

સવપુરાથી ગણેશપૂરા જતાં મુખ્ય માર્ગ પર રોડની બંને બાજુએ બાવળના ઝાડ-ઝાંખરા બેફામ રીતે ફેલાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી રોડની સાઇડમાં ઉગી નીકળેલા બાવળના ઝુંડને દૂર કરવામાં ન આવતા માર્ગ સાંકડો બન્યો છે અને અકસ્માતની ભીતિ વધી રહી છે.
સ્થાનિક ગ્રામજનો અને દૈનિક અવરજવર કરતા વાહનચાલકોના જણાવ્યા મુજબ, રોડની બંને બાજુએ ફેલાયેલા કાંટાળા બાવળના કારણે સામે આવતા વાહનો સ્પષ્ટ દેખાતા નથી. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી મોસમ દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે.
બાવળની જાડી રોડ સુધી પહોંચી જતાં બાઈકચાલકો તેમજ અન્ય નાના વાહનચાલકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભારે વાહનો પસાર થતાં સમયે વાહનોને રોડની ધાર સુધી લઈ જવું જોખમી બની રહ્યું છે.
સ્થાનિકોએ સંબંધિત તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે, છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે રોડની બંને બાજુએ ઉગી નીકળેલા બાવળના ઝાડ દૂર કરી માર્ગને સલામત બનાવવાની માંગ ઉઠાવી છે.
વાહનચાલકોનું કહેવું છે કે સમયસર સફાઈ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે, જેના માટે જવાબદારી સંબંધિત વિભાગની રહેશે.





