ગુજરાતમાં લાગ્યા ‘મોદી હટાઓ, દેશ બચાવો’ના બેનરો
અમદાવાદમાં મોડી રાત્રે નોબલનગર, સરદારનગર, વટવા, મણિનગર સહીતના વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા હતા. જેને લઈને આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે 22 રાજ્યોમાં આપ દ્વારા ‘મોદી હટાવો દેશ બચાવો’ પોસ્ટર કેમ્પેઇન ચાલું કરાયુ છે.
ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની પોસ્ટર વોર ઉગ્ર બન્યું છે. આપ દ્વારા દિલ્હીમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ના પોસ્ટર લગાવાયાં તેની સામે દિલ્હી પોલીસે 136 એફઆઈઆર નોંધી હતી. તેની સામે દિલ્હીના જંતર-મંતર પર સભા કરીને કેજરીવાલની પાર્ટીએ વિરોધ કર્યો હતો. ભાજપે દિલ્હીમાં કેજરીવાલ હટાવોનાં પોસ્ટર લગાડીને તેનો જવાબ આપ્યો પછી આપ દ્વારા 30 માર્ચે દેશભરમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ના પોસ્ટર લગાવવામાં આવશે એવું એલાન કરાયું હતું.
દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે, બ્રિટિશ શાસન દરમિયાન પણ પોસ્ટર લગાવવા બદલ 136 એફઆઈઆર નોંધવામાં આવી ન હતી. રાયે પડકાર પણ ફેંક્યો કે, દિલ્હીમાં પોસ્ટર લગાવવા માટે એફઆઈઆર નોંધવામાં આવી હતી ત્યારે હવે હજારો લોકો જંતર-મંતર પર મોદી હટાઓ, દેશ બચાવોના પોસ્ટર લઈને ઉભાં છે. હિંમત હોય તો અહીં આવીને એફઆઈઆર કરો. સભામાં અરવિંદ કેજરીવાલે પ્રહાર કર્યો હતો કે, દેશના વડાપ્રધાન શિક્ષિત હોત તો નોટબંધી ન થઈ હોત.