જિલ્લા પંચાયત કચેરી, ખંભાળિયા ખાતે કૃષિ સખી/ પશુ સખી માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ

જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડયાએ સખી મંડળના બહેનોને પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા કર્યું આહ્વાન
પ્રાકૃતિક કૃષિમાં આમૂલ પરિવર્તન લાવવાના આશય સાથે તાલીમ આપવામાં આવી
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ, દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે કૃષિ સખી/ પશુ સખી પ્રાકૃતિક કૃષિ અંગેની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભૂપેષ જોટાણીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગોહીલ ઉપસ્થિત કહ્યા હતા.
આ તાલીમમાં જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિ મંડળ, સખી મંડળની બહેનોને કૃષિ સખી તરીકે સાંકળીને પ્રાકૃતિક ખેતીમાં બહેનોનો યોગદાન વધારવાનો એક પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સખી મંડળો પણ આ અભિયાનમાં જોડાઇને પ્રાકૃતિક કૃષિને વેગવંતુ બનાવે તે માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓને પ્રાકૃતિક કૃષિના આ ભગીરથ કાર્યમાં જોડી અને તેમને રસાયણમુક્ત ખેતી સાથે જોડવા માટે જિલ્લાભરમાં પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. સખી મંડળ દ્વારા મહિલા સશક્તિકરણનો એક ઉત્તમ ઉદાહરણ રાજ્યમાં જીવંત છે ત્યારે આ સખીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિમાં આમૂલ પરિવર્તન લાવવાના એક ઉત્તમ આશયથી કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતીની પ્રત્યક્ષ અને અભ્યાસની તાલીમ આપવામાં આવી રહી છે.
વધુમાં આજની આ તાલીમમાં દેશી ગાય આધારીત ખેતી કઇ રીતે કરવી?, ઘરમાં જ રહેલી સામગ્રીના ઉપયોગથી ખેતી કરવા સહીતના વિષયો ઉપર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે સખી મંડળોના બહેનોને પ્રાકૃતિક કૃષિ કરી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા કલેક્ટરશ્રીએ આહ્વાન કર્યું હતું.
આ તકે ખંભાળિયા એપીએમસીના ચેરમેનશ્રી પી.એસ.જાડેજાએ જણાવ્યું હતું કે, આપણે જોઇએ છીએ કે ઘરે ઘરે બિમારીઓ જોવા મળી રહી છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇ ખેડૂતોએ રસાયણીક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઇએ. મહિલાઓ પોતાના પરિવારોને સમજ આપે અને પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવો પ્રયાસ છે. આ તાલીમ દ્વારા પ્રાકૃતિક કૃષિ થકી મહિલા સ્વાવલંબી અને આત્મનિર્ભર બને તેવો પણ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ખેતી કરતી મહિલાઓ પ્રાકૃતિક કૃષિ કરી અને અન્ય મહિલાઓને પણ આ અંગે યોગ્ય માર્ગદર્શન આપે તે જરૂરી છે.
તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગરના વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી કે.પી. બારૈયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ચૌધરી, આત્મા પ્રોજેક્ટ નાયબ ડાયરેક્ટર શ્રી અરવીંદ ચાવડા દ્વારા વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સકરાકશ્રીની પ્રાકૃતિક કૃષિ સંલગ્ન યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી. એપીએમસી ચેરમેનશ્રી પી.એસ.જાડેજા દ્વારા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને અઠવાડીયામાં એક કે બે દિવસ માટે દુકાનની જરૂર જણાય તો વિનામૂલ્યે આપવામાં આવશે.






