
સમીર પટેલ, ભરૂચ
ખેડૂતોના પાકને અતિવૃષ્ટિથી થયેલ નુકસાનની સહાય તાત્કાલીક ચુકવવા કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર
વાગરા તાલુકા કોંગ્રેસ કમિટીના નવ નિયુક્ત પ્રમુખ આસિફ પટેલની આગેવાની હેઠળ આજરોજ ખેડૂતોને થયેલી નુકશાની સહાય તાત્કાલીક ચૂકવવા વાગરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસતા ખેડૂતોના પાક અને જમીન ધોવાયા હતા.તેમજ અતિવૃષ્ટિ તેમજ પૂરની પરિસ્થિતિને કારણે ખેડૂતોને મોટાપાયે ખેતીમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળે અને પાકની નુકસાનીમાં મદદ મળી રહે તે માટે પાકનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી ખેડુતોને સહાય ચુકવવામાં આવી નથી. એક તરફ દિવાળીના તહેવારો માથા પર હોય અને નુકશાનીનું સર્વે પણ પૂર્ણ થઇ ગયું હોવા છતાં અતિવૃષ્ટિ અને પૂરની સમસ્યાથી પીડિત એવા ખેડૂતોને આજ દિન સુધી સરકારની એક પણ રૂપિયાની સહાય મળી નથી. ત્યારે નવી ખેતી ઉભી કરવા માટે પણ ખેડૂતોની દયનિય સ્થિતી બની હોય ડિજિટલ ઇન્ડિયાની ડંફાસો વચ્ચે સરકાર વહેલી તકે ખેડુતોને નુકશાનીની સહાય ચૂકવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતી વખતે વાગરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ, મૈયુદ્દીન બાજી, સુરેશ પરમાર, શકીલ રાજ, ઝાબીર મુન્શી, ઇમરાન રાજ સહિતનાં કોંગી આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.



