Rajkot: મહિલા અને બાળ કલ્યાણ કચેરી દ્વારા મહિલા ઉદ્યમીઓને મહિલા સ્વાવલંબન યોજના અંગે માહિતગાર કરાયા

તા.૬/૧૨/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટના જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજનાની ટીમ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે યોજાયેલ ફેશન મંત્રા ગ્રાન્ડ એકઝીબીશનમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ કુલ ૧૨૦થી વધુ મહિલા ઉદ્યમીઓના સ્ટોલની મુલાકાત કરી તેમને મહિલા સ્વાવલંબન યોજના અંગે માહિતી આપવામાં આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરીની ટીમ દ્વારા યોજનાના ફોર્મ અને માર્ગદર્શક પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા સ્વાવલંબન યોજના થકી મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેન્ક લોન સહાય આપવામાં આવે છે. જે અંતગર્ત બ્યુટી પાર્લર, દરજીકામ, અગરબતી, તમામ પ્રકારના મસાલા, ભરતગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત ૩૦૭ જેટલા વ્યવસાયો માટે આ લોન આપવામાં આવે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારશ્રી તરફથી રૂ.૨ લાખ સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ ૧૮ થી ૬૫ વર્ષ સુધી વયની રાજ્યની કોઈ પણ મહિલાને મળવા પાત્ર છે. સબસીડીનું ધોરણ કેટેગરી મુજબ જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછું પ્રોજેક્ટ કોસ્ટના ૩૦% અથવા મહત્તમ રૂ.૬૦,૦૦૦ બંને માંથી જે ઓછું હોય તે અને અનુસૂચિત જન જાતી તથા અનુસૂચિત જાતિ માટે ૩૫% અથવા મહત્તમ રૂ.૭૦,૦૦૦ બંનેમાંથી જે ઓછું હોય તે તથા વિધવા મહિલા અને ૪૦%થી વધુ વિકલાંગતા ધરાવતી મહિલાઓને વધુમાં વધુ પ્રોજેક્ટ કોસ્ટના ૪૦% અથવા મહતમ રૂ.૮૦,૦૦૦ બંને માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે.





