
વાત્સલ્યમ સમાચાર- મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં મુંરબી અને માંળુગા સહિત હુંબાપાડા ગામે તસ્કરોએ એક જ રાત્રીએ ધાડ પાડતા ચકચાર મચી..
ડાંગ જિલ્લામાં એક જ રાતમાં ચોરીની ત્રણ ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.જેમાં વઘઈ તાલુકાના મુરંબી અને માળુંગા ગામ ખાતે સોના ચાંદીના દાગીના સહિત 99 હજાર રૂપિયાની મતાની ચોરી કરવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ બીજી ઘટનામાં આહવા તાલુકાના હુંબાપાડા ગામ ખાતે એક પોલીસ કર્મીના બંધ મકાનમાં તસ્કરોએ ધાડ પાડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જો કે તેમને ત્યાં કંઈ જ હાથે લાગ્યુ નહોતુ.વઘઈ તાલુકાના મુરંબી ગામ ખાતે રહેતા અનિષાબેન યુવરાજભાઈ બિરારી ગત તા.10/11/2024ના રોજ રાત્રિના નવ વાગ્યાના અરસામાં પોતાના પતિ સાથે પોતાના ઘરના દરવાજાને બંધ કરીને તેમની પોતાની દુકાન ઉપર સુવા માટે ગયા હતા.અને સવારે આવીને જોતા ઘરના આગળના રૂમને અને ઓસરીના દરવાજાને લગાવેલ તાળા ન હતા.તેમજ ઘરમાં અંદર જોતા કબાટના દરવાજા પણ ખુલ્લા હતા અને કબાટમાંનો સામાન તથા કપડા વેર વિખેર હાલતમાં જોવા મળ્યા હતા.ત્યારે કબાટની તપાસ કરતા કબાટમાંથી રોકડ રૂપિયા 48,500/- તથા સોનાનું મંગળસૂત્ર અને ચાંદીના બે જોડી પાયલ અને પગની આંગળીમાં પહેરવાના જોડવા નંગ ચાર મળીને કુલ કિંમત રૂપિયા 26,500/- ની મતાની ચોરી થઈ હોવાનું જણાય આવ્યુ હતુ.તેમજ માળુંગા ગામના પાર્વતીબેન સંજયભાઈ પાડવી ના ઘરના દરવાજાના અડાગડા તોડી ઘરમાં પ્રવેશ કરી તેમના ઘરના રૂમમાં મુકેલ પતરા ના કબાટના દરવાજા અને તિજોરીના લોક તોડી તીજોરીમા મુકેલ રોકડા રૂ.10,000/- તથા સોનાનુ મંગળસુત્ર કિ.રૂ.14,000/- એમ મળી બન્ને જગ્યાએથી કુલ કિંમત રૂપિયા 99,000/- ચોરી કરી, અજાણ્યા ચોર ઇસમો નાસી છૂટયા હતા. જેને લઈને સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.તેમજ ત્રીજા બનાવમાં આહવા તાલુકાનાં હુંબાપાડા ગામનાં પોલીસ કર્મીનાં બંધ મકાનમાં તસ્કરોએ ધાડ પાડી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો.હુંબાપાડા ગામનાં સંજયભાઈ મોહનભાઈ ભોયે જેઓ આહવા ખાતે પોલીસ કર્મીમાં ફરજ બજાવે છે અને પરિવાર સાથે આહવા ખાતે રહેતા હોય જેથી કોઈક રજા કે વેકેશન દરમ્યાન ઘરે આવતા હોવાથી હુંબાપાડા ખાતેનું મકાન બંધ હાલતમાં હતુ.જે મકાનમાં ગતરોજ રાત્રીનાં અરસામાં તસ્કરોએ ધાડ પાડી હતી.તસ્કરોએ બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી સામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો.જોકે તસ્કરોને અહીં કઈ પણ હાથ લાગ્યુ ન હતુ. પરંતુ રાત્રીનાં અરસામાં અવાજના કારણે એક યુવાન જાગી જતા તસ્કરો મોટરસાયકલ પર બેસી નાસી છૂટયા હતા.જોકે હાલમાં આ તસ્કર ગેંગ શામગહાન વિસ્તારમાં સક્રિય બની અનેક ઘરોને ટાર્ગેટ કરી રહી છેત્યારે પોલીસ વિભાગ આ તસ્કરોની અટકાયત કરે અને કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે..





