ભાડભૂત બેરેજથી અસરગ્રસ્ત માછીમારોનો વિરોધ, આલિયાબેટમાં જમીન ફાળવણીની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર, આંદોલનની ચીમકી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજે કલેક્ટરને મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આવેદનપત્રમાં ભાડભૂત બેરેજથી માછીમાર સમુદાયને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમાર સમાજના પ્રતિનિધી કમલેશ મઢીવાલાએ જણાવ્યું કે આલિયાબેટની જમીનો, જે અસરગ્રસ્ત માછીમારોની વૈકલ્પિક રોજગારી માટે ફાળવવાની દરખાસ્ત હતી, તે કચ્છ-ગાંધીધામની બે કંપનીઓને આપવાની કાર્યવાહી થઈ રહી છે. આ મુદ્દે સમાજે કાયદાકીય લડત શરૂ કરી છે.
નર્મદા નદીની એસ્ચ્યુરીમાં બેરેજના કારણે માછલીઓના પ્રજનન અને માછીમારીના ક્ષેત્રને નુકસાન થઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં હજારો માછીમાર પરિવારોની આજીવિકા જોખમમાં મુકાઈ છે. માછીમાર સમાજે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી અસરગ્રસ્ત માછીમારોને આલિયાબેટની જમીનો ફાળવવામાં નહીં આવે, ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. સમાજે બેરેજનું કામ તાત્કાલિક બંધ કરવાની માગ કરી છે, જેથી માછીમાર સમુદાયને આર્થિક સંકટનો સામનો ન કરવો પડે.




