નશાના બે કારોબારીના ઘરે વીજજોડાણોની તપાસ કરાઇ, 2.25 લાખનો દંડ વસૂલાશે


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના દેરોલ અને અંકલેશ્વર ખાતે રહેતાં અને નશાના કારોબારમાં સંડોવાયેલી મહિલા સહિત બે કારોબારીઓના ઘરે એસઓજીએ તપાસ હાથ ધરી હતી. ડીજીવીસીએલના કર્મચારીઓને સાથે રાખી વીજ જોડાણોની તપાસ દરમિયાન ગેરરિતિ મળી આવતાં 2.25 લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદમાં અસામાજીક તત્વોએ વસ્ત્રાલ વિસ્તારને માથે લીધો હતો. આ ઘટના બાદ રાજયભરમાં પોલીસે 100 અસામાજીક તત્વોની યાદી બનાવી તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ શહેરમાં પણ 3 બુટલેગરોના દબાણો દૂર કરાયાં હતાં. ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે પીઆઇ આનંદ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એનડીપીએસના ગુનામાં ઝડપાયેલાં આરોપી સામે તવાઇ શરૂ કરી છે. પીએસઆઇ વાઢેર તથા રાઠોડની ટીમે દેરોલ ગામની નવીનગરીમાં રહેતાં ઇલ્યાસ મલેકને ત્યાં વીજજોડાણની તપાસ હાથ ધરી હતી.તેના મકાનમાંથી ગેરકાયદે વીજજોડાણ મળી આવતાં 2.05 લાખનો દંડ કરાયો છે. તેવી જ રીતે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારની મંગલદીપ સોસાયટીમાં રહેતી સોનુકુમારી મંડલના ઘરે તપાસ કરવામાં આવતાં વીજજોડાણમાં ઓવરલોડ મળી આવતાં 20 હજારનો દંડ ફટકારવમાં આવ્યો છે.



