
નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલ સંકલન બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક મુદ્દાઓ ઉપર સવાલ ઉઠાવ્યા
રાજપીપળા : જુનેદ ખત્રી
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના કલેકટરને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ સવાલો પૂછ્યા હતા . ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલ કર્યા હતા કે, મનરેગા યોજના અંતર્ગત દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં વર્ષ ૨૦૨૪-૨૫માં કેટલા શ્રમિકોને ૧૦૦ માનવ દિન રોજગારી પુરી પાડવામાં આવી? મનરેગા યોજના અંતર્ગત દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં કેટલા શ્રમિકોને રોજગારી પુરી પાડવામાં આવી? દેડીયાપાડા તાલુકાના ફૂલસર ગ્રુપ ગ્રામ પંચાયતમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કયા ગામોના કેટલા લોકોને કેટલા દિવસ રોજગારી પુરી પાડવામાં આવી? નિતિ આયોગ દ્વારા નર્મદા જિલ્લાના વિકાસ માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે એ હકીકત સાચી છે ? જો હા તો કેટલી નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે ? ઉક્ત સ્થિતિ કોના દ્વારા કેવા પ્રકારનું આયોજન કરવામાં આવનાર છે? ઉક્ત સ્થિતિએ સ્થાનિક ધારાસભ્યને જાણ ન કરવાના શા કારણો છે?“ સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી “ જોડતા રોડ માટે ગ્રામસભાઓની સહમતિ મેળવવા માટે બીજા પ્રયત્ને ખાસ ગ્રામ સભાઓ બોલાવવામાં આવી એ હકીકત સાચી છે? જો હા તો ઉક્ત સ્થિતિ એ EC, ફોરેસ્ટ ની પરવાનગી લેવામાં આવેલ છે? ઉક્ત સ્થિતિએ R.R અને DPR પ્લાન બનેલ છે ? સનતની જમીન ધારકો માટે વળતરની જોગવાઈ છે? ખેતીવાડી વીજ કનેક્શન લેવા માટે કયા કયા પ્રકારના ખેડૂતોને વન વિભાગનાં NOCની જરૂર પડે છે? જેના માટે ગાઈડલાઈનશું છે? ઉક્ત સ્થિતિએ ડેડીયાપાડા તાલુકાના કયા કયા ગામના ખેડૂતોની NOCની અરજીઓ પેન્ડીંગ છે? ઉક્ત સ્થિતિએ NOC આપવા માંગો છો કે કેમ ?
“ સ્વચ્છ ભારત મિશન” યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં કેટલી ઈ –રિક્ષા આપવાની જોગવાઈ હતી? જેનું એસ્ટીમેન્ટ કેટલું હતું ? જેની નિવિદામાં કઈ કઈ એજન્સીઓએ ભાગ લીધો? અને કોને કામગીરી સોંપવામાં આવી છે? દેડીયાપાડાના કંજાલ નદી પર પુલને તોડી નાખવામાં આવેલ છે એ હકીકત સાચી છે? જો હા તો ઉક્ત સ્થિતિ તોડ્યા બાદ શું કામગીરી કરવાની થાય છે? કામ ન ચાલુ થવાના શા કારણો છે? ચોમાસા દરમિયાનએ નદી પાર કરવાની વૈકલ્પીક વ્યવસ્થા શું છે? ૧૫મું નાણાપંચ ૨૦ % તાલુકા કક્ષામાં વર્ષ ૨૦૨૪-૨૫, ૨૦૨૫-૨૬માં કયા કયા કામો મંજુર કરવામાં આવેલ છે? ઉક્ત કામગીરીનું આયોજન અને મંજુરીની પ્રક્રીયા શું છે? દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં બોર્ડર વિલેજ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫માં કેટલા લાભાર્થીઓને દુધાળા પશુઓ આપવામાં આવ્યા હતા? જે બાબતે પશુ ન મળવાની કોઈ ફરિયાદ મળેલ છે? જો હા તો ઉક્ત સ્થિતિએ તપાસ કરવામાં આવેલ છે કે કેમ? દેડીયાપાડા તાલુકામાં પીએમ કુસુમ યોજના અંતર્ગત મળેલ સોલાર પંપમાં એસ્ટિમેન્ટ મુજબ કામગીરી ન થતી હોવાની કોઈ ફરિયાદ મળેલ છે? જો હા તો ઉક્ત સ્થિતિ એ તપાસમાં કોઈ ગેરરીતી જોવા મળેલ છે? જો હા તો શુ પગલાં લેવામાં આવેલ છે? પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બીજા અને ત્રીજા હપ્તાઓ માટે લાભાર્થીએ કમીશન આપવું પડે એ બાબતે ફરિયાદ મળેલ છે એ હકીકત સાચી છે? જો હા તો ઉક્ત સ્થિતિએ કોના કહેવાથી કમિશન ઉઘરાવવામાં આવે છે ? ઉક્ત સ્થિતિએ કર્મચારીઓ પર શું કાર્યવાહી કરવામાં આવી છે? આઈ.સી.ડી.એસ. દ્વારા ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં મેઈન્ટેનન્સ અને રીનોવેશન સ્ટેટ હેઠળ કેટલી આંગણવાડીઓ માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ઉક્ત સ્થિતિએ કેટલી પૂર્ણ કરી નાણાકીય ચુકવણા કરવામાં આવેલ છે?



