પંચમહાલ જિલ્લામાં પૂર્વ પરવાનગી સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
રાજ્ય ચૂંટણી આયોગ ધ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચુંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ પંચમહાલ જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચુંટણીનું મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે અને તા.૨૫/૦૬/૨૦૨૫ ના રોજ મતગણતરી થનાર છે. જેને ધ્યાને લઈ ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે શાંતિમય વાતાવરણમાં યોજાય અને જાહેર સુલેહશાંતિનો ભંગ ન થાય તેને ધ્યાને લઇ પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.જે.પટેલ એ તેમને મળેલ સત્તાની રૂએ પંચમહાલ જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચુંટણીઓ જુન-૨૦૨પ હેઠળના વિસ્તારોમાં હુકમની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીની મુદત માટે અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા અથવા કોઈ સભા ભરવા કે કોઈ સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે. આ હુકમનો અમલ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે કે તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી પંચમહાલ જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચુંટણીઓ હેઠળના વિસ્તારને લાગુ પડશે.
આ જાહેરનામું ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને તથા કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહિ.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.