GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: બિનરાસાયણિક પદ્ધતિઓ થકી જમીનજન્ય રોગોના વ્યવસ્થાપન અંગે સૂચનો

તા.૨/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા ખેડૂતો માટે બિનરાસાયણિક પદ્ધતિઓ થકી જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન કરવા અંગે જરૂરી પગલાં સૂચવાયા છે. જે નીચે મુજબ છે.

૧) દર વર્ષે એક જ જમીનમાં એકના એક પાકનું વાવેતર ન કરતા બીજા પાકોનું વાવેતર કરવું જોઈએ. જેથી, જમીનજન્ય રોગો જેવા કે સૂકારો, મૂળનો કોહવારો, થડનો સડો, ગંઠવા કૃમિ જેવા રોગોનું વ્યવસ્થાપન થઇ શકે છે. મગફળીના પાકમાં થડના કોહવારાનું પ્રમાણ ઘટાડવા કપાસ, ઘઉં, મકાઈ, જુવાર, ડુંગળી અને લસણ જેવા પાક સાથે ફેરબદલી કરવી જોઈએ.

૨) સંપૂર્ણ કોહવાયેલ, ગળતીયા છાણીયા ખાતર, લીંબોળી તથા દિવેલીનો ખોળ, રાયડાનો ખોળ કે મરઘાં-બતકાના ખાતરનો વપરાશ વધારવો જોઈએ. જેથી, જમીનનું પોત સુધરે અને રોગમાં ઘટાડો થાય. મગફળીમાં થડના કોહવારા માટે વાવણી પહેલા દિવેલીના ખોળને ૭૫૦ કિ.ગ્રા., પ્રતિ હેક્ટરે તથા કપાસમાં જમીનજન્ય ફૂગથી થતા રોગો જેવા કે ધરૂનું મૃત્યુ, મૂળખાઈ અને સૂકારાના નિયંત્રણ માટે છાણીયું ખાતર હેક્ટરે ૧૦ ટન અથવા પ્રેસમડ અથવા મરઘાનું ખાતર ૦૨ ટન પ્રતિ હેક્ટરે વાવેતર પહેલા જમીનમાં આપવાથી રોગોનું પ્રમાણ ઘટાડી શકાય છે.

૩) રોગપ્રતિકારક જાતોના પ્રાકૃતિક કૃષિથી વાવેતરનો આગ્રહ રાખવો જોઈએ. મગફળીમાં ઉગસૂક, મૂળખાઇ અને થડના કોહવારા સામે પ્રતિકારકતા માટે જી.જે.જી.-૩૩ જાતનો ઉપયોગ કરવો જોઈએ.

૪) જે તે પાકમાં રોગને ધ્યાનમાં રાખી પિયતના પાણીનું નિયમન કરવું જોઈએ. દિવેલા, તમાકુ, કપાસ અને તુવેરના પાકમાં જમીનજન્ય ફૂગથી થતાં મૂળખાઈ રોગની તીવ્રતા જમીનનું તાપમાન વધારે હોય તેવા કિસ્સામાં વધુ હોય છે. આવા કિસ્સામાં પાકને સમયસર પિયત આપવું હિતાવહ છે.

૫) જમીનજન્ય ફૂગથી થતા રોગ (ઉગસૂક, સૂકારો, ધરૂનો કોહવારો, થડનો કોહવારો, મૂળનો કોહવારો) અને કેટલાક બીજજન્ય રોગોના અટકાયત માટે જૈવિક નિયંત્રકો જેવા કે ટ્રાયકોડર્મા વીરીડી, ટ્રાયકોડર્મા હરજીયાનમ, શ્યુડોમોનાસ ફ્લુરેસેન્સનો ઉપયોગ (૦૮થી ૧૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ) કરવો જોઈએ. ઘણા રોગકારકો જમીનમાં રહેતા હોઈ, તેના નિયંત્રણ માટે ૦૧ કિ.ગ્રા. ટ્રાયકોડર્માને ૧૦ કિ.ગ્રા. છાણિયા ખાતરમાં ભેળવી અને વિકસવા દેવું જોઈએ. આવુ તૈયાર કરેલું ૧૦ કિ.ગ્રા. છાણિયું ખાતર ૧૦૦ કિ.ગ્રા. બીજા છાણિયાં ખાતરમાં ભેળવીને જમીનમાં આપવાથી જમીનજન્ય રોગોનું નિયંત્રણ કરી શકાય છે.

૬) મગફળીમાં થડનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે ૦૫ કિ.ગ્રા ટ્રાયકોડર્મા હરજીયાનમ અથવા ટ્રાયકોડર્મા વીરીડી ૨૫૦ કિ.ગ્રા. દિવેલી / રાયડાના ખોળ સાથે ભેળવીને વાવતા પહેલા ચાસમાં આપવું અથવા ટ્રાયકોડર્મા ૦૫ કિ.ગ્રા પ્રતિ હેક્ટરે માટી સાથે ભેળવી ચાસમાં આપવું જોઈએ.

૭) દિવેલામાં સૂકારો અને મૂળનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજીયાનમ ૦૫ કિ.ગ્રા.ને ૫૦૦ કિ.ગ્રા. રાયડાના ખોળ સાથે ભેળવીને ચાસમાં આપવું જોઈએ

૮) તુવેરમાં સૂકારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજીયાનમ ૦૮થી ૧૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બિયારણ પ્રમાણે પટ આપવો અને છાણિયાં ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાયકોડર્મા ૨૦૦ ગ્રામ પ્રતિ મીટર પ્રમાણે ચાસમાં આપવાથી રોગનું નિયંત્રણ થાય છે.

આ અંગે વધુ જાણકારી નજીકના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / ખેતી અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) /નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકાશે.

(માહિતી સોર્સ: પ્લાન્ટ પ્રોટેક્શન અસોસિયેશન ઓફ ગુજરાત અને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા પ્રકાશિત કરેલી પુસ્તિકા “જમીનજન્ય રોગ-જીવાતોનું સંકલિત નિયંત્રણ”)

Back to top button
error: Content is protected !!