Rajkot: રાજકોટ એસ.ટી. બસ પોર્ટ ખાતે ૭ એ.સી. બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવતા સાંસદ અને ધારાસભ્યો

તા.૨૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મહાનુભાવોએ બસનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી
Rajkot: રાજકોટ એસ.ટી. બસ પોર્ટ ખાતે સાંસદશ્રી પુરુષોતમભાઈ રૂપાલા તેમજ ધારાસભ્યો શ્રી ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળાએ રાજકોટ એસ.ટી. વિભાગની નવીન ૭ એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ તકે મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. મહાનુભાવોએ શાસ્ત્રોક્ત વિધિથી બસનું પૂજન કર્યું હતું. તેમજ બસનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક શ્રી જે.બી.કલોતરા, ડેપો મેનેજર શ્રી એન.વી.ઠુમ્મર સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને મુસાફરો ઉપસ્થિત રહ્યાં હતાં.
મહાનુભાવોના હસ્તે લોકાર્પિત થયેલી ૭ બસથી ૧૬ ટ્રીપ અને ૪૦૪૬.૧૮ કિલોમીટરનું દૈનિક સંચાલન થવા પામશે. આ બસનું રાજકોટથી ભાવનગરનું ભાડું રૂ. ૩૦૪ (વાયા : સરધાર, આટકોટ, બાબરા, ઢસા, સોનગઢ, સિહોર), રાજકોટથી ઉનાનું ભાડું રૂ. ૫૪૪ (વાયા : વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર) અને રાજકોટથી દીવનું ભાડું રૂ. ૫૭૯ (વાયા : વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર, ઉના) છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર જનતાને મુસાફરી દરમિયાન વધુ સુખાકારીયુક્ત પરિવહન સેવાઓ મળી રહે, તે હેતુસર એસ.ટી. નિગમ દ્વારા ૧૦૦ એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસ મુસાફરોની સેવામાં મૂકવાનું આયોજન છે, જે પૈકી હાલમાં ૭ બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવી છે. આગામી ટૂંક સમયમાં અન્ય ૨૫-૩૦ જેટલી એ.સી. બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવશે.









