
ભારતના ચૂંટણી પંચ દ્વારા ૧૨ રાજ્યોમાં ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે. આ અંગે જૂનાગઢ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.આ સંદર્ભે તા.૦૪-૧૧-૨૦૨૫ ના રોજ જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ જૂનાગઢ જિલ્લામાં બિ.એલ.ઓ.શ્રીઓ દ્વારા ઘરે-ઘરે ગણતરીનો તબક્કો તા.૦૪ નવેમ્બરથી શરૂ થઈને એક મહિના સુધી એટલે કે આગામી તા.૦૪ ડિસેમ્બર સુધી ચાલનાર છે. આ સમયગાળા દરમિયાન, બીએલઓ દરેક મતદારના ઘરે જઈને છેલ્લી પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં જે પણ મતદારોના નામો છે, તેમને મતદાર ગણતરીના ફોર્મની બે નકલમાં પૂરા પાડશે. મતદારે આ બે ગણતરી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહેશે. આ ફોર્મમાં મતદારની હાલની વિગતો પહેલેથી જ પ્રિન્ટ થયેલી હશે. એક ફોર્મ બીએલોશ્રી રાખશે અને એક ફોર્મ મતદારશ્રીને આપવામાં આવશે.જેમાં મતદારે ફોર્મની એક નકલ પોતાની સહી કરીને બીએલઓને પાછી આપવાની છે. બીજી નકલમાં બીએલઓ પોતે મળ્યાની સહી કરી આપશે, જે મતદાર પાસે રહેનાર છે. તેમજ મતદારે હાલની મતદાર યાદીમાં તેના કુટુંબના અન્ય સભ્યો જેમ કે પિતા, માતા, પતિ, પત્ની વગેરેની વિગતો પણ આપવાની રહેશે. જેથી કરીને આગામી મતદાર યાદીમાં કુટુંબના તમામ સભ્યોના નામ એકસાથે આવી શકે. તેમજ મતદાર યાદીમાં તેની વિગતો જેવી કે જે તે મતદાર કયા જિલ્લામાં, કઈ વિધાનસભામાં, કયા ભાગમાં અને કયા ક્રમ નંબર પર હતો તે તમામ વિગતો ભરવાની થાય છે.જો મતદારને આ વિગતો ભરવામાં મદદ જોઈતી હોય, તો બૂથ લેવલ ઓફિસર તમામ મદદ આપવા માટે ઉપલબ્ધ છે. બીએલઓ પાસે ભારતના ચૂંટણી પંચનું અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીનું ઓનલાઈન વેબ પોર્ટલ ઉપલબ્ધ છે. જેની વિગતો બતાવીને બીએલઓ મતદાર પાસે વિગતો ભરાવશે.મતદારે આ એક મહિનાના ગણતરી કાર્યક્રમમાં ફોર્મ ભરીને પાછું આપ્યા સિવાય અન્ય કોઈ આધાર પુરાવો આપવાનો રહેતો નથી. આ સમગ્ર સુધારણાનો મુખ્ય આશય એ છે કે કોઈપણ લાયક મતદાર મતદાર યાદીમાં હોવો જોઈએ અને તેનું નામ નીકળી ન જાય. આ સાથે જ જે મતદાર નોંધાવાને ગેરલાયક છે તેનું નામ મતદાર યાદીમાં ન આવે અને જો આવ્યું હોય તો નીકળી જાય.આ તકે પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી જિલ્લાના તમામ મતદારોને અપીલ કરી છે કે, આપના ઘરે જ્યારે બીએલઓ ગણતરી ફોર્મ લઈને આવે, ત્યારે તે ફોર્મ લઈ અને તેમાં ભરવાની વિગતોની પૂરી સમજણ મેળવી લેવી અને જરૂર પડે તો બીએલઓનું માર્ગદર્શન મેળવવું. ફોર્મ સંપૂર્ણ વિગત સાથે ભરીને બીએલઓને પાછું આપવાનું છે. જો મતદાર કોઈ કારણસર હાજર ન હોય તો પણ તે મતદાર તરીકે નોંધાવાને લાયક હોય તો તેના કુટુંબના સભ્ય પણ આ ફોર્મ ભરીને બીએલઓને પાછું આપી શકે છે.સમગ્ર કાર્યક્રમ દરમિયાન, જો કોઈ મતદાર મળી ના આવે, તો બીએલઓ દરેક ઘરની ત્રણ વાર મુલાકાત લેશે. આ ભરેલા ફોર્મના આધારે બીએલઓ પોતે તેની ઓનલાઈન એન્ટ્રી પણ કરશે છે. ત્યારબાદ ૪ ડિસેમ્બર બાદ, મતદાર નોંધણી અધિકારી જરૂરી પ્રક્રિયા કરશે અને મતદાર યાદીનો ડ્રાફ્ટ ૯ ડિસેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે.આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લામાં જોડાયેલા ૧૩૩૮ જેટલા બૂથ લેવલ ઓફિસર/ બીએલઓ જોડાયેલા છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ મામલતદારશ્રી, ડેપ્યુટી કલેક્ટશ્રી, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સહિતનું આખુ તંત્ર પણ કાર્યરત છે.આ તકે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લાના રાજકીય પક્ષોની પ્રતિનિધિઓ સાથે પણ બેઠક યોજી હતી અને તેમને વિનંતી કરી હતી કે તેઓ પણ આ એક મહિનાના કાર્યક્રમમાં સહકાર આપે. રાજકીય પક્ષો પક્ષદીઠ દરેક બૂથ માટે એક બીએલએ (બૂથ લેવલ એજન્ટ) નીમે, જેથી તેઓ બીએલઓ સાથે કામગીરીમાં જોડાઈને મદદ કરે અને આખો કાર્યક્રમ સમયસર અને સંપૂર્ણ શુદ્ધતા, પારદર્શિતા સાથે પૂર્ણ થાય. જૂનાગઢ જિલ્લામાંથી ૧૩,૩૪,૪૦૦ જેટલા મતદારો હોય તેવો અંદાજ છે. ૧૯૫૦ હેલ્પલાઈન નંબર ઉપરથી પણ તમામ માહિતી મેળવી શકાશે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




