નવસારી જિલ્લા આયોજન મંડળ હેઠળ વિકાસકાર્યોની સમીક્ષા કરતા જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિવિધ જોગવાઈઓ હેઠળના વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ના વર્ષમાં ૧૫ ટકા વિવેકાધિન જોગવાઈ અને ૫ ટકા પ્રોત્સાહક, સાંસદ તથા ધારાસભ્યોની ગ્રાંટ તેમજ એટીવીટી હેઠળ તાલુકાવાર, નગરપાલિકા અને જિલ્લાકક્ષાએ જોગવાઈ હેઠળના શરૂ ન થયેલા, પ્રગતિ હેઠળ તથા પુર્ણ થયેલા જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી.મંત્રીશ્રી કનુભાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. વિકાસકામો ગુણવત્તાપૂર્વક સમયમર્યાદામાં પરિપુર્ણ થાય તે દિશામાં કાર્ય કરવા સંબધિત અધિકારીઓને મંત્રીશ્રીએ તાકીદ કરી હતી. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં આંતરમાળખાકીય સુવિધાઓના સુગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે રાજય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખૂટતી સુવિધાઓના કામોને પ્રાધાન્ય આપવા તેમજ આયોજન હેઠળના વિકાસકામોનું સતત મોનિટરીંગ કરીને પૂર્ણ કરવા માટેના સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, પ્રાયોજના વહીવટદાર પ્રણવ વર્ગીય, જિલ્લા આયોજન અધિકારી જે.કે.બગીયા, નિવાસી અધિક કલેક્ટર યોગરાજસિંહ ઝાલા, તા.પંચાયત અને નગરપાલિકાના પ્રમુખઓ, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો, સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




