આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભાના કોંગ્રેસ તથા કરણી સેનાના આગેવાન સંજયસિંહ રાજ AAPમાં જોડાયા

આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભાના કોંગ્રેસ તથા કરણી સેનાના આગેવાન સંજયસિંહ રાજ AAPમાં જોડાયા
તાહિર મેમણ – આણંદ – 05/01/2026 – આણંદ – આજે કોંગ્રેસ અને કરણી સેનામાં પોતાની સેવા આપી ચૂકેલા સંજયસિંહ રાજ AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ મુદ્દે વાત કરતા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલની કામની રાજનીતિથી પ્રેરાઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એટલી લોકપ્રિયતા વધી છે કે દરરોજ મજબૂત લોકો જોડાઈ રહ્યા છે. આજે મને કહેતા આનંદ થાય છે કે આણંદના આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં રહેતા અને સામાજિક આગેવાન અને કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા સંજયસિંહ રાજ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સંજયસિંહ રાજ કરણી સેના ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા રહી ચુક્યા છે. સંજયસિંહ રાજ આજે ભાજપ અને કોંગ્રેસના લગભગ 60 જેટલા પદાધિકારીઓ અને સામાજિક આગેવાનો સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આગામી સમયમાં તેઓ ત્રણથી ચાર હજાર લોકો સાથે સભાઓ કરીને વધુ લોકોને જોડશે. આજે તેઓ પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના આણંદ જિલ્લા પ્રમુખ વિજયભાઈની આગેવાનીમાં સંજયસિંહ રાજ પોતાની મજબૂત ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે હું તેમનું ભાવભર્યું સ્વાગત કરું છું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાના હસ્તે સંજયસિંહ રાજને ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા. સંજય સિંહ રાજ્યની સાથે જોડાયેલા કોંગ્રેસ અને ભાજપ સહિત સામાજિક આગેવાનોને પણ ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ડોર ટુ ડોર કેમ્પેન મુદ્દે માહિતી આપણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી પ્રજાના મુદ્દાઓને લઈને આગામી સમયમાં ઘર ઘર સુધી લઈ જશે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીની ટીમ તમારે ત્યાં તમારી સમસ્યાઓ જાણવા માટે આવશે, તમારા અધિકાર અને હકની લડાઈ શું છે? તમારા મુદ્દાઓ શું છે? તે જાણવા માટે આવશે. આજથી અમે ડોર ટુ ડોર કેમ્પેઇન ચાલુ કરીએ છીએ, તો આપ સૌ તેમાં સહયોગ કરશો તેવી આશા છે. આમ આદમી પાર્ટી તમારા મુદ્દાઓને લઈને અડીખમ ઉભી છે બાકી ભાજપ અને ભાજપના નેતાઓથી હવે ગુજરાત સંભાળી શકાતું નથી અને આ ખૂબ જ ગંભીર બાબત છે.




