રખડતાં કૂતરાની સમસ્યા માટે સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સ તથા તંત્રની ઝાટકણી કાઢી
કૂતરાઓને ખોરાક આપવો હોય તો ઘરે લઈ જાઓ: સુપ્રીમ કોર્ટ

રખડતાં કૂતરાની સમસ્યા માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સ તથા તંત્રની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, કૂતરાઓમાં ખાસ પ્રકારનો વાઇરસ હોય છે જેનું કોઈ નિદાન નથી. કૂતરા 9 વર્ષના બાળક પર હુમલો કરે તો જવાબદાર કોણ? સરકાર કશું નથી કરી રહી. કૂતરા જેટલી વખત કરડશે અથવા તેનાથી કોઈનું મોત થશે તો અમે સરકારને વળતર આપવાનો આદેશ આપીશું.
આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રણથંભૌર નેશનલ પાર્કમાં કૂતરાઓ દ્વારા બચકા ભરી લેવાતા વાઘ પણ ગંભીર બીમારીથી પીડાતા હતા. જ્યારે કૂતરા 9 વર્ષના બાળક પર હુમલો કરે છે તો તેના માટે કોણ જવાબદાર? તે સંગઠન જે તેમને ખાવાનું આપે છે કે પછી અમે આ મામલે આંખો બંધ કરી લઈએ. રખડતાં કૂતરાને ખોરાક આપનારા ડોગ લવર્સ કૂતરા પોતાના ઘરે લઈ જાય.
જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મેહતા અને જસ્ટિસ એન વી અંજારિયાની બેન્ચે આગળ કહ્યું કે, તે લોકો પર જવાબદારી નિશ્ચિત થવી જોઈએ જે કહે છે કે અમે કૂતરાઓને ભોજન કરાવીએ છીએ. સરકાર કંઈ પણ નથી કરી રહી. અમે હવે રાજ્ય સરકારો પર ન માત્ર જવાબદારી પરંતુ પીડિતને ચોક્કસ વળતર મળે તેવો આદેશ આપીશું. એવો આદેશ આપીશું કે દરેક ડોગ બાઇટ પર સરકારે ભારે વળતર આપવું પડે.




