BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલી APMC ખાતે કપાસના ભાવ મુદ્દે ખેડૂતોનો રોષ

બોડેલી APMC માર્કેટ યાર્ડમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મહેનતથી ઉગાડેલા કપાસના પાકને બજારમાં પૂરતું વળતર ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને સરકાર સામે કપાસના ભાવ વધારવાની માંગ ઉઠી છે.
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારના ખેડૂતો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. ખેતીમાંથી મળતી આવકથી જ પરિવારના રોજિંદા ખર્ચા તેમજ લગ્ન પ્રસંગો જેવા મહત્વના ખર્ચો પૂરા કરવામાં આવતા હોય છે. જોકે હાલ કપાસના ભાવ ખૂબ ઓછા મળતા હોવાથી ખેતી ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે.
એક તરફ સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલમાં ચાંદીનો ભાવ ચાર લાખ રૂપિયા પ્રતિ કિલો અને સોનાનો ભાવ પોણા બે લાખ રૂપિયા પ્રતિ તોલા સુધી પહોંચ્યો છે, જ્યારે બીજી તરફ ખેડૂતોને કપાસના પાકનો યોગ્ય ભાવ મળતો નથી. પરિણામે ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે.
આ ઉપરાંત કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. દવા અને બિયારણ પાછળ થયેલો ખર્ચ વ્યર્થ ગયો હતો. ત્યારબાદ ફરીથી ખેતી કરીને પાક તૈયાર કર્યો, પરંતુ હવે બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નિરાશામાં મુકાયા છે.
ખેડૂતો દ્વારા સરકારને આ મુદ્દે ગંભીરતાથી પગલાં લેવા અને કપાસના યોગ્ય ભાવ માટે અસરકારક વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી શકે.
હાલ તો તૈયાર થયેલા કપાસના પાકમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂત વર્ગ ભારે મુસીબતમાં મુકાયો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની માંગને ધ્યાનમાં લઈ તેમને રાહત આપે છે કે નહીં.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!