MEHSANAVIJAPUR

વિજાપુર રામબાગ ખાતે લખવારા સમાજનો ચોથો સમૂહ લગ્નોત્સવ ઐતિહાસિક રીતે સંપન્ન

વિજાપુર રામબાગ ખાતે લખવારા સમાજનો ચોથો સમૂહ લગ્નોત્સવ ઐતિહાસિક રીતે સંપન્ન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
શ્રી હિન્દુ લખવારા – લખારા સમાજ ૨૨ પટ્ટી (ગુજરાત) દ્વારા વિજાપુરના રામબાગ ખાતે ચોથો સમૂહ લગ્નોત્સવ અત્યંત ભવ્ય, શિસ્તબદ્ધ અને સમાજને ગૌરવ અપાવે તે રીતે યોજાયો હતો. સમગ્ર રામબાગ વિસ્તાર ઉત્સવમય વાતાવરણથી ઝગમગી ઉઠ્યો હતો. પરંપરાગત વરઘોડા, વૈદિક મંત્રોચ્ચાર, ઢોલ-નગારા અને સમાજબાંધવોની ઉમંગભરી હાજરીએ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.
આ સમૂહ લગ્નોત્સવનું આયોજન ૨૨ પટ્ટી કમિટી દ્વારા સુચિત આયોજન અને જવાબદારીપૂર્વક કરવામાં આવ્યું હતું. સ્વાગત, લગ્નવિધિ, ભોજન તથા અન્ય તમામ વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવી હતી. ગુજરાત તેમજ રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજબાંધવો ઉપસ્થિત રહ્યા હતા, જે સમાજની એકતા, સંગઠન શક્તિ અને સામૂહિક ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું.
પ્રસંગે મુખ્ય સરક્ષક લખવારા છગનજીએ સમાજમાં વધતા ભાગેડું લગ્ન જેવી સામાજિક સમસ્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે સમાજની શિસ્ત, સંસ્કૃતિ અને એકતા જળવાઈ રહે તે હેતુસર આવનાર સમયમાં સમાજ દ્વારા કડક નિયમો અને વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવશે.
સમૂહ લગ્નોત્સવ અંતર્ગત સમાજના દાતાઓનું વિશેષ સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો. સમાજના વિકાસ અને સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે આર્થિક તેમજ સેવારૂપી સહયોગ આપનાર તમામ દાતાઓને મંચ પર બોલાવી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના દ્વારા સેવા અને દાનની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો અને કાર્યકરોનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. જેમાં લખવારા ચંપકલાલભાઈ (ભિલોડા) – મહામંત્રી, લખવારા વિજયભાઈ (માણસા) – સદસ્ય, લખવારા કિશોરજી (કુકરવાડા) – સદસ્ય તથા લખવારા પહેલાદજી વિઠ્ઠલજી – પ્રમુખે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.આ યોજાયેલો લખવારા સમાજનો ચોથો સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્નવિધિ પૂરતો સીમિત ન રહી સમાજની એકતા, સંસ્કાર, સેવા અને સંગઠન શક્તિનું જીવંત પ્રતીક બની રહ્યો હતો

Back to top button
error: Content is protected !!