લાખણી ના જસરા મા પાંચ દિવસીય અશ્વ મેળા નો પ્રારંભ

નારણ ગોહિલ લાખણી
બુઢેશ્વર મહાદેવ મંદિરે ધ્વજારોહણ અને રુદ્રાભિષેક સાથે મેળાને ખુલ્લો મૂકાયો
વાવ- થરાદ જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે આજથી પંથકમાં લોક મેળા તરીકે સુપ્રસિદ્ધ મહાશિવરાત્રિના અશ્વ મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. તારીખ ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળાની શરૂઆત આસોદર મઠના મહંત રેવાગીરી મહારાજે બુઢેશ્વર મહાદેવ મંદિરે પૂજા-અર્ચના અને ધ્વજારોહણ સાથે કરવામાં આવી હતી.આસોદર મઠના મહંત રેવાગીરી મહારાજની હાજરીમાં રેસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવેએ પણ ઘોડેસવાર થઈને મેદાનમાં ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું હતું.અને રાજ્ય સરકારના સહયોગથી શરૂ થયેલ મેળાના વિવિધ અકર્ષણોની માહિતી આપી હતી.
આ વર્ષે મેળામાં ઘોડા અને ઊંટની સાથે પ્રથમ વખત કાંકરેજી ગાયો અને નંદીઓ માટે પણ વિશેષ સ્પર્ધાઓ રાખવામાં આવી છે. સમગ્ર મેળા દરમિયાન પશુઓની ૫૦થી વધુ અલગ-અલગ હરીફાઈઓ યોજાશે.
અશ્વોની હરીફાઈની સાથે લોકોના મનોરંજન માટે અહીં મોટા આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં અશ્વ પ્રેમીઓ અને આસપાસના ગામના લોકો ઉમટી પડ્યા હતા. મેળા સમિતિના સભ્યો અને સ્થાનિક આગેવાનોએ હાજર રહી વ્યવસ્થા જાળવી હતી.




