Rajkot: ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ટીમે દાખવેલી પ્રેરણારૂપ પ્રમાણિકતા: ઇજાગ્રસ્ત નાગરિકનો સામાન સહીસલામત પરત કરી ૧૦૮ની ટીમે આપ્યું નૈતિકતાનું વીરલ દ્રષ્ટાંત

તા.૧૮/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. તાજેતરમાં જલારામ ચોક નજીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચાડી તેમનો સામાન સહીસલામત રીતે હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો.
ઘટના એમ બની કે, મનુભાઈ ચાવડા એક્ટિવા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક સામે આવેલી ઓટો રીક્ષાને કારણે અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં તુરંત ૧૦૮ની ટીમ પહોંચી હતી. સ્થળ પર તપાસ કરતાં મનુભાઈ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ટીમ દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
દર્દીની ઓળખ માટે તપાસ દરમિયાન તેમની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી આવી હતી, ૧૦૮ની ટીમ દ્વારા તમામ સામાન સુરક્ષિત રીતે સિવિલ હોસ્પિટલના સ્ટાફને સોંપવામાં આવ્યો હતો. સાથે જ દર્દીના પરિવારજનોનો સંપર્ક કરી મોબાઈલ તથા રોકડ રકમ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની ટીમના સભ્યો ઈએમટી પ્રજ્ઞેશભાઈ પરમાર તથા પાઇલોટ સુરેશભાઈ પરમારે ફરજની સાથે ઉચ્ચ પ્રમાણિકતા અને જવાબદારીનું ઉમદા ઉદાહરણ રજૂ કર્યું છે. તેમની આ માનવીય કામગીરી બદલ દર્દીના પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.





