
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની ભાતીગળ સંસ્કૃતિના પ્રતિક સમાન ઐતિહાસિક ‘ડાંગ દરબાર-૨૦૨૬’નું ભવ્ય આયોજન આગામી તા. ૨૬/૦૨/૨૦૨૬ થી ૦૩/૦૩/૨૦૨૬ દરમિયાન થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે તા. ૦૨ માર્ચના રોજ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહી ડાંગના રાજવીઓનું સન્માન કરવાના છે. રાજ્યપાલ સતત પ્રાકૃતિક ખેતીના હિમાયતી રહ્યા છે.અને આ મંચ પરથી પણ તેઓ ખેડૂતોને માર્ગદર્શન આપવાના છે,પરંતુ ડાંગ જિલ્લાની વર્તમાન સ્થિતિ જોતા ‘દીવા તળે અંધારું’ જેવો ઘાટ સર્જાયો છેકે. ગુજરાતના પ્રથમ ‘સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી’ જાહેર થયેલા ડાંગ જિલ્લામાં જ સરકારી તંત્રની ઘોર બેદરકારીને કારણે આ અભિયાન કાગળ પર જ સીમિત રહી ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.ડાંગ જિલ્લા ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગ તથા કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સરકારી દસ્તાવેજોમાં ખેડૂત તાલીમ શિબિરો, વર્કશોપ અને જાગૃતિ અભિયાન પાછળ લાખો રૂપિયાના ખર્ચા દર્શાવવામાં આવી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ગામડાંઓના છેવાડાના ખેડૂતો સુધી કોઈ અસરકારક માર્ગદર્શન પહોંચતુ નથી.માત્ર વચેટિયા મારફતે ફોટા પડાવી સેમિનાર કરી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.સતત ફોલો-અપ અને ટેકનિકલ સહાયના અભાવે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. જે જિલ્લાને ગર્વભેર પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો, ત્યાં જ આજે ખેતીવાડી અને બાગાયત વિભાગની નિષ્ક્રિયતાને કારણે પ્રાકૃતિક ખેતીનો સત્યાનાશ વળી રહ્યો છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વ્યક્તિગત પહેલ અને સરકારના મિશનને ડાંગના સ્થાનિક ખેતીવાડી અને બાગાયત તેમજ કૃષિ યુનિવર્સિટીનાં અધિકારીઓએ જાણે અભેરાઈએ ચડાવી દીધું છે.યોગ્ય માર્ગદર્શન ન મળવાને કારણે અનેક ખેડૂતોએ મજબૂરીવશ પ્રાકૃતિક ખેતી છોડીને ફરીથી સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો તરફ વળવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળી રહ્યુ છે.ડાંગ દરબાર જેવા મોટા ઉત્સવોમાં મંચ પરથી તો પ્રાકૃતિક ખેતીના ગુણગાન ગાવામાં આવશે, પરંતુ જમીની સ્તરે જે નિષ્ફળતા મળી રહી છે તે જિલ્લા ખેતીવાડી અને બાગાયત તેમજ કૃષિ યુનિવર્સિટીની પોલ ખોલી રહી છે.આગામી ૨ જી માર્ચે જ્યારે રાજ્યપાલ આહવા ખાતે ‘રંગ ઉપવન’માં ઉપસ્થિત રહેશે, ત્યારે સૌની નજર એ વાત પર છે કે શું તેઓ આ કથળતી જતી સ્થિતિની નોંધ લેશે? શું જિલ્લા ખેતીવાડી અને બાગાયત તેમજ કૃષિ યુનિવર્સિટીનાં સંબધિત વિભાગની આ ગંભીર બેદરકારી સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી દર વર્ષની જેમ માત્ર આશ્વાસનો અને ખોટા આંકડાઓ આપીને વાતને રફેદફે કરી દેવાશે? ડાંગના જાગૃત નાગરિકો અને ખેડૂતો હવે સરકાર પાસે નક્કર કામગીરીની માંગ કરી રહ્યા છે..





