JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લા ભાજપના સંગઠન માળખાની જાહેરાત: ૪૪ હોદ્દેદારોની ‘ટીમ ચંદુ મકવાણા’ સજ્જ

૧૬ મંડળ અને ૨૧થી વધુ જ્ઞાતિઓને પ્રતિનિધિત્વ આપી ‘સોશિયલ એન્જિનિયરિંગ’ પર ભાર

મુખ્ય સંગઠન સહિત તમામ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓના નામો સત્તાવાર જાહેર
​વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી થયા બાદ, આજે પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં કુલ ૪૪ હોદ્દેદારોનો સમાવેશ કરી આગામી સમય માટે સંગઠનને નવું જોમ પૂરવામાં આવ્યું છે.
ત્યારે નવી ટીમની વિશેષતા એ છે કે તેમાં જિલ્લાના તમામ ૧૬ મંડળો અને ૨૧થી વધુ વિવિધ જ્ઞાતિ-સમાજના કાર્યકર્તાઓને સ્થાન આપવામાં આવ્યું છે. ભૌગોલિક અને સામાજિક સંતુલન જળવાય તે રીતે તમામ તાલુકા અને શહેરોને આવરી લેતું સર્વસમાવેશક માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, મુખ્ય સંગઠનમાં ​૦૮ જિલ્લા ઉપપ્રમુખ, ૦૩ મહામંત્રી અને ૦૮ જિલ્લા મંત્રીની નિમણૂક કરવામાં આવી છે.
​સાથે જ કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી, સોશિયલ મીડિયા વિભાગ, આઈ.ટી. વિભાગ અને મીડિયા વિભાગના હોદ્દેદારોની જવાબદારી સોંપાઈ છે.
મુખ્ય સંગઠન ઉપરાંત યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, લઘુમતી મોરચો અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ તથા મહામંત્રીઓની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
​ત્યારે નવનિયુક્ત હોદ્દેદારોને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા તેમજ પૂર્વ ધારાસભ્યો અને સિનિયર આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે નવી ટીમને સંબોધતા આગેવાનોએ જણાવ્યું હતું કે, સંગઠનને વધુ મજબૂત બનાવી, બૂથ સ્તર સુધી કાર્યકર્તાઓને સક્રિય કરવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવી એ પ્રાથમિકતા રહેશે. આ નવું સંગઠન આગામી દિવસોમાં નવી ઊર્જા સાથે કાર્યરત થશે તેવી શ્રદ્ધા કાર્યકર્તાઓમાં વ્યક્ત થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!