MORBI મોરબીમાં કથળતી કાયદો-વ્યવસ્થા અંગે કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ ઝાલરીયા દ્વારા કલેકટરને લેખિતમાં રજૂઆત

MORBI મોરબીમાં કથળતી કાયદો-વ્યવસ્થા અંગે કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ ઝાલરીયા દ્વારા કલેકટરને લેખિતમાં રજૂઆત
મોરબી: છેલ્લા કેટલાક દિવસોથી મોરબી શહેરમાં બનેલી અસામાજિક અને હિંસક ઘટનાઓને પગલે જનતામાં ફફડાટ ફેલાયો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ શ્રી અજયભાઈ ઝાલરીયા દ્વારા જિલ્લા પ્રશાસનથી લઈને દિલ્હી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
અજયભાઈએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, ગત રાત્રિ દરમિયાન મોરબીના વિવિધ વિસ્તારોમાં અંદાજિત 15 જેટલી ગાડીઓ પર પથ્થરમારો કરી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. આ ઉપરાંત, તાજ મોહમ્મદ નામના યુવકની નિર્મમ હત્યા કરી તેની લાશને કારખાનામાં છુપાવવાની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી છે. એટલું જ નહીં, પત્રકારના નામે તોડબાજી અને લૂંટ કરનારા તત્વો પણ સક્રિય થયા છે, જેમને પોલીસે ઝડપી પાડ્યા છે.
કડક કાનૂની કાર્યવાહી: ઉગ્રવાદી અને અપરાધિક માનસ ધરાવતા તત્વો વિરુદ્ધ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ કરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે.
સાજીસનો પર્દાફાશ: આ ઘટનાઓ પાછળ કોઈ મોટી સાજીસ છે કે કેમ તેની તપાસ કરી ગુનેગારોને કાયદાનું ભાન કરાવવામાં આવે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને મોરબીનું જનજીવન સ્વચ્છ, સુદ્રઢ અને સલામત બને તે માટે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે.
અજયભાઈ ઝાલરીયાએ આ બાબતે વડાપ્રધાન કાર્યાલય (PMO), ગુજરાતના મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખી નમ્ર અરજ કરી છે કે, “મોરબીની શાંતિ અને સલામતી જાળવવી એ પ્રાથમિકતા હોવી જોઈએ. ગુનેગારોમાં કાયદાનો ડર હોવો અનિવાર્ય છે.”









