
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા૦૯ માર્ચ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે અને આ કાયદો અને વ્યવસ્થા બુટલેગરો માટે ચાલતી હોય એવી પરિસ્થિતિ પેદા થઇ છે. આમ આદમી પાર્ટીના કચ્છ (પૂર્વ) પ્રમુખ અને એક જાંબાજ મહિલા કાયનાત અન્સારી, જેઓ વર્ષોથી સમાજ સેવા કરે છે અને પોતે ડોક્ટર પણ છે, તેઓએ જનતાના કહેવાથી પોલીસ મિત્રોના સંરક્ષણથી જે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હતા ત્યાં જનતા રેડ કરી હતી. તો આ દારૂના અડ્ડાઓ બંધ કરવાની જગ્યાએ કાયનાત અન્સારી પર એટ્રોસિટીની ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેવો કાનૂન છે? વધુમાં AAP નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં કાનૂન વ્યવસ્થાની હાલત બિહાર કરતા પણ ખરાબ થઈ ગઈ છે. અમારો સવાલ છે કે એસપી અને રેન્જ આઈ જી શું કરી રહ્યા છે? એટ્રોસિટીની ફરિયાદ થાય છે તો તેના માટે પણ પુરાવા હોય છે. એટ્રોસિટીનો કાયદો દલિત સમાજને રક્ષણ આપવા માટે બનાવ્યો છે, પરંતુ આ કાયદાનો અધિકારીઓ અને કેટલાક બુટલેગરો સાથે મળેલા લોકો મોટું ષડયંત્ર કરાવી રહ્યા છે. કાયનાત અન્સારીને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, આમ આદમી પાર્ટી આ બાબતનો સખત શબ્દોમાં વિરોધ કરે છે. આ મામલે આમ આદમી પાર્ટી લડત લડી લેશે. કચ્છમાં એક એક દારૂના અડ્ડા પર હવે આમ આદમી પાર્ટી લોકો સાથે મળીને જનતા રેડ કરશે.




