ડીઆઈજી શ્રીમતી વિધિ ચૌધરીના હસ્તે લુણાવાડા ખાતે નવનિર્મિત ‘જન સંપર્ક કેન્દ્ર’નું ઉદ્ઘાટન કરાયું

પંચમહાલ-ગોધરા રેન્જના ડીઆઈજી શ્રીમતી વિધિ ચૌધરીની મહીસાગર જિલ્લાની મુલાકાતે
**
ડીઆઈજી શ્રીમતી વિધિ ચૌધરીના હસ્તે લુણાવાડા ખાતે નવનિર્મિત ‘જન સંપર્ક કેન્દ્ર’નું ઉદ્ઘાટન કરાયું
**
રિપોર્ટર…અમીન કોઠારી મહીસાગર
આજ રોજ પંચમહાલ-ગોધરા રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી (DIGP) શ્રીમતી વિધિ ચૌધરીએ મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા ખાતે આવેલી પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની વિશેષ અને સત્તાવાર મુલાકાત લીધી હતી.

લુણાવાડા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે નાગરિકોની સુવિધા માટે તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત ‘જન સંપર્ક કેન્દ્ર’નું નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી (DIGP) શ્રીમતી વિધિ ચૌધરીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર કાર્યરત થવાથી સામાન્ય નાગરિકો માટે પોલીસનો સંપર્ક કરવો વધુ સરળ બનશે અને તેમની રજૂઆતોનું સત્વરે નિરાકરણ લાવી શકાશે.
આ મુલાકાતના ભાગરૂપે ડીઆઈજી શ્રીમતી ચૌધરીએ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મહીસાગર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની વર્તમાન પરિસ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. તદુપરાંત, તેઓએ પોલીસ હેડ કવાર્ટરની પણ મુલાકાત લીધી હતી. પોલીસની રોજિંદી કામગીરીને વધુ સુદ્રઢ, પારદર્શક અને પ્રજાલક્ષી બનાવવા માટે તેઓએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું




